મુંબઈ-નવી મુંબઈ વચ્ચે શરૂ કરાશે વોટર ટેક્સી

નવી મુંબઈઃ મુંબઈ અને પડોશના નવી મુંબઈ શહેર વચ્ચે રોજ પ્રવાસ કરનારાઓ માટે રાહત અને આનંદના સમાચાર છે. મહારાષ્ટ્ર સરકાર, નવી મુંબઈ મહાનગરપાલિકા, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ આ બંને શહેર વચ્ચે ટૂંક સમયમાં વોટર ટેક્સી સેવા શરૂ કરવા ધારે છે. આ પરિવહન માધ્યમને કારણે બંને શહેર વચ્ચેનો પ્રવાસ ઘણો આસાન બની જશે. આમ લોકોને લોકલ ટ્રેન અને બસ સેવાનો સરસ વિકલ્પ મળશે.

શરૂઆતમાં આ વોટર ટેક્સી સેવા દક્ષિણ મુંબઈથી નવી મુંબઈના બેલાપુર, નેરુલ, વાશી, જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી) માટે ઉપલબ્ધ કરવામાં આવશે. આ સેવાને કારણે પ્રવાસનો સમય ઘટીને 30-40 મિનિટનો થઈ જશે, જે રોડ માર્ગે દોઢ કલાકનો લાગે છે. રસ્તાઓ પર વાહનોથી થતું પ્રદૂષણ પણ ઘટી જશે અને ટ્રાફિક-જામની સમસ્યાથી પણ રાહત થશે. નવી મુંબઈના ઘણા લોકોએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો છે અને આ સેવાને પર્યાવરણસેવી ગણાવી છે. આ જલ-સેવા સામાન્ય લોકોને પરવડી શકશે એવી પણ ધારણા રખાય છે. કેન્દ્ર સરકારે શરૂ કરેલી ‘સાગરમાલા યોજના’ અંતર્ગત નવી મુંબઈમાં આ જલપરિવહન સેવા શરૂ કરવામાં આવી રહી છે. લોકલ ટ્રેનોમાં થતી અપાર ગીરદી અને પેટ્રોલ-ડિઝલની કિંમતમાં થયેલા વધારાથી ત્રસ્ત લોકો પ્રમાણમાં સસ્તી, ઝડપી અને સુખદ બની રહેનારી જલપરિવહન સેવા પ્રતિ આકર્ષાશે એવું મનાય છે.