માત્ર શહેરોનું જ નહીં, મહારાષ્ટ્રનું પણ નામકરણ કરોઃ અબૂ આઝમીની માગણી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોનું નામાકરણ કરાયા બાદ હવે અહમદનગરનું નામ બદલવાની પણ માગણી કરવામાં આવી છે. આને પગલે સમાજવાદી પાર્ટીના નેતા અને વિધાનસભ્ય અબૂ આઝમીએ સીધું મહારાષ્ટ્ર રાજ્યનું જ નામ બદલવાની માગણી કરી છે.

એમણે કહ્યું છે, મહારાષ્ટ્રમાં કોઈ ચોક્કસ જિલ્લાનું નામ બદલવાને બદલે મહારાષ્ટ્રનું જ નામ બદલવું જોઈએ. નાના જિલ્લાઓનાં નામ બદલવાનો કોઈ જ અર્થ નથી. મહારાષ્ટ્રને છત્રપતિ સંભાજી મહારાજનું નામ આપવું જોઈએ. તો અમે સરકારના નિર્ણયને ટેકો આપીશું. શહેરોનાં મુસ્લિમ નામ બદલવા એ સમાજનું ધ્રુવીકરણ કરવાનો પ્રયત્ન છે. થાણે, નવી મુંબઈ, રાયગડનું પણ નામકરણ કરવું જોઈએ.