દાનવીર કર્ણના જીવન વિશે ટાગોર, ઉમાશંકર જોષી રચિત કાવ્યોનો આસ્વાદ

મુંબઈઃ ‘સંવિત્તિ’ સંસ્થાએ નવા વરસ ૨૦૨૩નો આરંભ મહાભારતના નોખા પાત્ર વીર અને દાનવીર કર્ણ વિશે વકતવ્ય યોજીને કર્યો છે. કળા, સાહિત્ય, સંગીત, જ્ઞાન, વિજ્ઞાન અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસારના લક્ષ્ય સાથે સતત સાતેક વરસથી કાર્યક્રમોનું આયોજન કરતી કાંદિવલીની સંસ્થા ‘સંવિત્તિ’ ૨૧ જાન્યુઆરીના શનિવારે સાંજે કાંદિવલીમાં એક વિશેષ કાર્યક્રમ યોજી રહી છે. જેના મુખ્ય વક્તા નાટ્યજગતના જાણીતા અભ્યાસી-સંશોધક ડો.મહેશ ચંપકલાલ રહેશે.

મહાભારતનું એક સર્વથા શાપિત અને ઉપેક્ષિત, છતાંય અતિ ઉત્તમ પાત્ર એટલે કર્ણ. જે કુંતીપુત્ર હોવાછતાં રાધાના પુત્ર તરીકે ઓળખાયો, સૂર્યપુત્ર હોવાછતાં સૂતપુત્ર કહેવાયો, પોતાની આગવી ઓળખ ઊભી કરવા જીવનભર ઝઝુમતો રહયો. પોતાનું મૃત્યુ નિશ્રિત હોવાછતાં જેણે પોતાના કવચકુંડળ બ્રાહ્મણરૂપે આવેલા ઈન્દ્રને દાનમાં આપી દીધા એવો પ્રખર દાનવીર અને મૈત્રીધર્મનું પાલન કરવા જે સદાય દુર્યોધનને પડખે રહ્યો એવો પ્રદિપ્ત ધર્મવીર કર્ણ આધુનિક સર્જકો માટે સદા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. મહાભારતનો આધાર લઈ કવિવર રવિન્દ્રનાથ ટાગોરે કર્ણના કુંતામાતા સાથેના અને જ્ઞાનપીઠ પુસ્કારથી વિભુષિત ઉમાશંકર જોષીએ કરેલા કર્ણના કૃષ્ણ સાથેના સંવાદનું કાવ્ય રચી કર્ણના ઉજજવળ ચરિત્રનું જે આલેખન કર્યુ છે તેનો ડો. મહેશ ચંપકલાલ તેમની આગવી શૈલીમાં આસ્વાદ કરાવશે.

જાહેર રસિકજનોને સંસ્થા તરફથી આમંત્રણ છે. આ કાર્યક્રમ નિઃશુલ્ક છે.

કાર્યક્રમનું સ્થળઃ પંચોલિયા હોલ, ત્રીજે માળે, ટી.પી. ભાટિયા કોલેજ, કાંદિવલી રીક્રીએશન કલબની સામે, કાંદિવલી-વેસ્ટ.

સમયઃ સાંજે ૫.૩૦

વાર અને તારીખઃ શનિવાર, ૨૧ જાન્યુઆરી