‘દર્શક એવોર્ડ’ માટે સાહિત્યકાર દિનકર જોશીની પસંદગી

મુંબઈઃ મનુભાઈ પંચોળી-દર્શક ફાઉન્ડેશન દ્વારા ૧૯૯૨ની સાલથી સાહિત્ય, શિક્ષણ અને ગ્રામ પુનર્રચના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિ કે સંસ્થાને ‘દર્શક એવોર્ડ’ આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૧ના સાહિત્ય એવોર્ડ માટે જાણીતા લેખક દિનકર જોશી અને ગ્રામ પુનર્રચના માટે મહેન્દ્રભાઈ ભટ્ટ અને ભારતીબેન ભટ્ટ (પ્રયાસ સંસ્થા-માંગરોળ)ની પસંદગી કરવામાં આવી છે.

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે છેલ્લા સાત દાયકાથી ઉલ્લેખનીય યોગદાન આપનાર દિનકરભાઈ જોશી લિખિત 165 જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે. નવલકથાઓ, ટૂંકી વાર્તા, ચિંતનાત્મક નિબંધો, પ્રસંગ ચિત્રો અને સંપાદનોમાં તેમણે ઊંડું ખેડાણ કર્યું છે. રામાયણ, મહાભારત અને વેદ-ઉપનિષદ જેવા ગ્રંથોને એમણે આધુનિક સંદર્ભમાં આલેખ્યા છે.

મહેન્દ્રભાઈ ભટ્ટ અને ભારતીબેન ભટ્ટની ‘પ્રયાસ સંસ્થા’ ગરુડેશ્વર અને નર્મદા જિલ્લાઓમાં ૧૯૭૭થી ગ્રામવિકાસ કાર્ય કરી રહી છે. તેઓ આજે ૮૦-૮૫ વર્ષની વયે પણ તેઓ વિનોબા ભાવે અને મહાત્મા ગાંધી ચીંધ્યા માર્ગે ૭૫ જિલ્લાઓમાં ગ્રામવિકાસ અને બાળકેળવણીનાં સઘન કાર્યો હાથ ધરી રહ્યાં છે.