કેન્યાએ ભારત પાસેથી મૂડીરોકાણની અપેક્ષા વ્યક્ત કરી

અમદાવાદઃ ગુરૂવારે અમદાવાદમાં કેન્યા ટ્રેડ, ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ટુરિઝમ અંગેની ચર્ચા બેઠક યોજાઈ હતી આ બેઠકને કેન્યાના હાઈકમિશનરે સંબોધી હતી અને ભારતને કેન્યામાં મૂડી રોકાણ કરવા કહ્યું હતું. કેન્યાના ભારત ખાતેના હાઈકમિશનર વીલી બ્રેન્ટે કેન્યાને આફ્રિકાના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાવતાં કહ્યું કે કેન્યા અને ભારત વચ્ચે અને ખાસ કરીને કેન્યા અને ગુજરાતના લોકો સાથે ઘનિષ્ઠ સંબંધો છે. ગુજરાત અને ભારતના વેપાર ઉદ્યોગના અગ્રણીઓને તેમણે કેન્યામાં મૂડીરોકાણ કરવા માટે આમંત્રણ આપ્યુ છે.ૃૃૃૃ

કેન્યાએ આફ્રિકાનું પ્રવેશદ્વાર

બ્રેન્ટે વધુમાં જણાવ્યું હતું કે, કેન્યાએ આફ્રિકાનું અને ખાસ કરીને પૂર્વ અને મધ્ય આફ્રિકાનું પ્રવેશદ્વાર છે. કેન્યા એક પ્રાદેશિક આર્થિક મથક છે અને ત્યાં બિઝનેસ માટે યોગ્ય વાતાવરણ અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે. કેન્યા પૂર્વ આફ્રિકન સમુદાય અને આફ્રિકા ખંડ સાથે ફ્રી ટ્રેડ એરિયા ધરાવે છે અને માત્ર કેન્યા જ નહીં પણ આફ્રિકાનૃ બજારો સાથે સરળ સંપર્ક ઉપલબ્ધ થાય છે.

કેન્યામાં મૂડીરોકાણ કરવાનો સમય આવી ગયો

હાઈકમિશનરે ભારપૂર્વક જણાવ્યું કે અમેરિકા અને યુરોપ સાથે કેન્યાના પ્રેફરેન્શ્યલ ટ્રેડ એગ્રીમેન્ટ છે. કેન્યામાં હાજરી ધરાવતા ઉત્પાદકોને વ્યાપક તકો પૂરી પાડવામાં આવે છે. તેમણે કહ્યું કે કેન્યા બિઝનેસ કેન્દ્રિત બનવા તરફ ધ્યાન આપી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 2012માં અમારૂ ઈઝ ઓફ ડુંઈંગ બિઝનેસ રેંકીંગ 170 હતું તે વર્ષ 2019માં 56 સુધી પહોંચાડ્યુ છે. અમે આ રેંકીંગ સુધારવા માટે વધુ પ્રયાસ કરી રહ્યા છીએ. કેન્યાની નવી સરકાર બીજી કોઈ બાબતોની નહી પણ માત્ર બિઝનેસ અંગે જ વાત કરે છે. કેન્યામાં રોકાણકારો માટે જે પ્રકારનો અભિગમ, ધ્યાન,  તક અને વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે તેવુ અન્ય કોઈ સ્થળે જોવા નહી મળે.  કેન્યામાં મૂડીરોકાણ કરવાનો સમય આવી ગયો છે.

બંને દેશ વચ્ચેનો દ્વિપક્ષી વ્યાપાર 2.2 અબજ ડોલરની નીકટ પહોંચ્યો

ભારત અને કેન્યા મજબૂત વ્યાપારી સંબંધો ધરાવે છે. ગયા વર્ષે આ બંને દેશ વચ્ચેનો દ્વિપક્ષી વ્યાપાર 2.2 અબજ ડોલરની નીકટ પહોંચ્યો હતો. ભારતમાંથી કેન્યામાં 2.1 અબજ ડોલરની નિકાસ થઈ હતી અને ભારત આફ્રિકન દેશોનું બીજા નંબરનુ સૌથી મોટુ નિકાસકાર બન્યું છે. 95 મિલિયન ડોલરની નિકાસ સાથે  ભારત કેન્યાનુ 18માં નંબરનુ સૌથી મોટું નિકાસ મથક છે.

કેન્યામાં મોટો ભારતીય સમુદાય વસે છે

કેન્યામાંથી ભારતમાં થઈ રહેલી મુખ્ય નિકાસમાં કઠોળ, ચા અને કોર્બોનેટ્સનો સમાવેશ થાય છે. જ્યારે ભારતમાંથી જે ચીજો મંગાવવામાં આવે છે તેમાં ઔષધો, પેટ્રોલિયમ ઓઈલ્સ, સેમી ફિનિશ્ડ આયર્ન અથવા નોન- એલોય સ્ટીલ, મોટર સાયકલ્સ અને ગુડ્ઝ વિહિકલ્સનો સમાવેશ થાય છે. કેન્યામાં મોટો ભારતીય સમુદાય વસે છે. જેમાંના અનેક લોકો ગુજરાતી અને પંજાબી છે. કેન્યા એ પૂર્વ આફ્રિકાનુ પ્રવેશ દ્વાર છે અને વ્યુહાત્મક રીતે નિકાસ માટે ખૂબ જ મહત્વનુ મથક બની રહ્યું છે અને બંને દેશના લોકો વચ્ચે ઘનિષ્ટ સંબંધો છે.

કેન્યા વ્યાપક આર્થિક વિકાસ તરફ આગળ વધી રહ્યું છે

આ અગાઉ આ સમારંભને સંબોધન કરતાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રેસીડેન્ટ પથિક પટવારીએ જણાવ્યું હતું કે, જ્યારે આફ્રિકાનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓના મજગમાં સૌપ્રથમ કેન્યાનો વિચાર આવે છે. કેન્યા વ્યાપક આર્થિક વિકાસ તરફ આગળ ધપી રહ્યુ છે. તે પૂર્વ આફ્રિકાનુ પ્રવેશ દ્વાર છે અને નિકાસ માટે ખૂબ જ વ્યુહાત્મક મહત્વ ધરાવે છે. અમે કેન્યામાં મૂડીરોકાણ કરી ચૂક્યા છીએ. તે મૂડીરોકાણ માટેનુ શ્રેષ્ઠ મથક છે.

કેન્યા બિઝનેસ માટેનુ ઉત્તમ વાતાવરણ અને તકો ઓફર કરે છે

નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રેસીડેન્ટ ભરત પટેલે જણાવ્યુ કે કેન્યા બિઝનેસ માટેનુ ઉત્તમ વાતાવરણ અને તકો ઓફર કરે છે. મને વિશ્વાસ છે  કે ત્યાં વ્યાપાર માટેની તકો નવા ઉંચા સ્તરે પહોંચવા સજજ છે. આ સમારંભમાં અમદાવાદના વેપાર-ઉદ્યોગના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સમારંભને જીસીસીઆઈ, કેસીસીઆઈ, લઘુ ઉદ્યોગ ભારતી અને મોરબી સિરામિક મેન્યુ ફેક્ચરર્સ એસોસિએશનનો વ્યાપક સહયોગ પ્રાપ્ત થયો હતો.