કેજરીવાલે CM પદ પરથી રાજીનામું આપવાની કરી જાહેરાત

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં જામીન પર બહાર આવેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. AAP કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા કેજરીવાલે કહ્યું કે હું આજથી બે દિવસ પછી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીશ. કેજરીવાલ પ્રામાણિક છે એવો ચુકાદો જનતા ન આપે ત્યાં સુધી હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહીં. હું દિલ્હીની જનતાના આદેશ પછી જ મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ.

મારા સ્થાને અન્ય કોઈ સીએમ હશેઃ અરવિંદ કેજરીવાલ

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘હું બે દિવસ પછી સીએમ પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. જ્યાં સુધી જનતા ચુકાદો નહીં આપે ત્યાં સુધી હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહીં. તેમણે કહ્યું કે હું અને મનીષ સિસોદિયા જનતાની વચ્ચે જઈશું. દિલ્હી વિધાનસભા ભંગ કરવામાં આવશે નહીં. મારી જગ્યાએ બીજા કોઈ સીએમ હશે. આગામી સીએમની પસંદગી માટે ધારાસભ્ય દળની બેઠક થશે. જેમાં સીએમ અંગે નિર્ણય લેવામાં આવશે.


અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા

અરવિંદ કેજરીવાલે કહ્યું, ‘તેઓએ (ભાજપ) બીજી એક નવી ફોર્મ્યુલા બનાવી છે જ્યાં તેઓ ચૂંટણી હારે, ત્યાંના મુખ્ય પ્રધાનને ખોટો કેસ દાખલ કરીને ધરપકડ કરો અને તેમની સરકારને ગબડી નાખો. તેઓએ સિદ્ધારમૈયા, પિનરાઈ વિજયન, મમતા દીદી વિરુદ્ધ કેસ દાખલ કર્યા છે. તેઓ એક વિપક્ષી મુખ્યમંત્રીને પણ છોડતા નથી, તેઓ દરેક સામે ખોટા કેસ કરે છે, જેલમાં નાખે છે અને સરકારને ઉથલાવી નાખે છે.