મોદી G20 દાવોસ શિખર સંમેલનમાં સંબોધન કરશે

દાવોસ (સ્વિટ્ઝરલેન્ડ): છ-દિવસીય વિશ્વ આર્થિક સંમેલન (વર્લ્ડ ઈકોનોમિક ફોરમ), જેને ‘દાવોસ એજન્ડા 2021’ નામ આપવામાં આવ્યું છે તે 25 જાન્યુઆરીથી અહીં શરૂ થવાનું છે. એમાં સંબોધન કરવાનું બહુમાન પ્રાપ્ત કરનાર વિશ્વના ટોચના દેશોના નેતાઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કોરોના વાઈરસ જાગતિક મહાબીમારી ફેલાઈ હોવાથી આ વખતનું સંમેલન ઓનલાઈન માધ્યમમાં યોજાવાનું છે. આ શિખર સંમેલનમાં જોકે અમેરિકાના નવા પ્રમુખ જો બાઈડન અને બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સનનો સમાવેશ કરવામાં આવ્યો નથી. દુનિયાના સૌથી સમૃદ્ધ અને શક્તિશાળી દેશોના વડાઓનું આ શિખર સંમેલન વાર્ષિક સ્તરનું હોય છે.

આ વખતના સંમેલનમાં જી-20 રાષ્ટ્રોના વડાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓમાંથી 15 જણની પસંદગી વિશેષ સંબોધન માટે કરવામાં આવી છે. વડા પ્રધાન મોદીનું સંબોધન આવતા ગુરુવારે રાખવામાં આવ્યું છે. સંમેલનમાં 1000થી વધારે જાગતિક સ્તરના નામાંકિત આગેવાનો હાજરી આપશે. આ સંમેલનમાં આર્થિક પરિસ્થિતિ, પર્યાવરણ રક્ષણ, કોરોના વાઈરસ રોગચાળાને કારણે ઊભા થયેલા સામાજિક અને ટેક્નોલોજીકલ પડકારો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.