NIAએ ખાલિસ્તાની આતંકવાદી પન્નુની સંપત્તિ જપ્ત કરી

નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસ (SFJ)ના પ્રમુખ ગુરુપતવંત સિંહ પન્નુની NIAએ અમૃતસર અને ચંડીગઢમાં આવેલી સંપત્તીઓ જપ્ત કરી છે. આ પહેલાં  2020માં પણ પન્નુની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. પન્નુ હાલ અમેરિકામાં છે અને તે સતત ભારતવિરોધી વિડિયો જારી કરતો રહે છે.  

NIAએ અમૃતસરના પન્નુના પૈતૃક ગામ ખાનકોટ ગામમાં 46 કનાલની કૃષિ સંપત્તિ જપ્ત કરી છે. પન્નુનું ઘર ચંદીગઢના સેક્ટર 15-Cમાં છે. પન્નુને 2020માં આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો

વર્ષ 2019માં કેન્દ્ર સરકારે પન્નુના સંગઠન SFJ પર ગેરકાયદે પ્રવૃત્તિઓ હેઠળ આતંકવાદી પ્રવૃત્તિઓ હાથ ધરવાના આરોપસર પ્રતિબંધ મૂક્યો હતો. ગૃહ મંત્રાલયે તેના નોટિફિકેશનમાં કહ્યું હતું કે શીખો માટે જનમત સંગ્રહની આડમાં SFJ પંજાબમાં અલગતાવાદ અને ઉગ્રવાદી વિચારધારાને સમર્થન આપી રહી છે. દિલ્હીમાં G20 શિખર સંમેલનથી ચાર સ્ટેશનો અને એક બિલ્ડિંગ પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખવામાં આવ્યા હતા. પન્નુના કહેવાથી દિલ્હીમાં મેટ્રો સ્ટેશન અને બિલ્ડિંગ પર પંજાબના યુવકોએ ખાલિસ્તાનના સૂત્રો લખ્યાં હતાં.

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે ફરી ભારત પર ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. ઓટાવામાં મીડિયા સાથે વાત કરતાં ટ્રુડોએ કહ્યું હતું કે તેમણે થોડાં અઠવાડિયાં પહેલાં જ ભારત સરકાર સાથે આ પુરાવા મોકલ્યા હતા. અમે ઈચ્છીએ છીએ કે દિલ્હી અમને તપાસમાં સહકાર આપે.

કોણ છે પન્નુ?

પંજાબના ખાનકોટનો ગુરપતવંત સિંહ પન્નુ અમેરિકી નાગરિક છે. તે પંજાબ યિનિવર્સિટીમાંથી લો કર્યા પછી વિદેશ ચાલ્યો ગયો હતો. તે ત્યાંથી ખાલિસ્તાની કામગીરી કરતો રહે છે. તે ભારત વિરોધ ઝેર ઓકતો રહે છે. તેના સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ પર ભારતે પ્રતિબંધ મૂક્યો હતો.