ચીનમાં 80 કરોડ લોકો સંક્રમિત, પણ મોત માત્ર પાંચ

બીજિંગઃચીનમાં કોરોના રોગચાળાથી હાલત બેકાબૂ થઈ ચૂક્યા છે. ચીનમાં છેલ્લા 10 દિવસમાં કોવિડ19ના કેસો અનેક ગણા વધી ગયા છે. એક અહેવાલ મુજબ ચીનમાં આશરે 80 કરોડ લોકો કોરોના સંક્રમણના દાયરામાં છે. આ દરમ્યાન મૃતકોની સંખ્યામાં બહુ ઝડપથી તેજી આવી છે. વોલ સ્ટ્રીટ જનરલના અહેવાલમાં બીજિંગના એક કોવિડ19ના સ્મશાન ગૃહના હવાલેથી દાવો કરવામાં આવી ચૂક્યો છે કે દૈનિક ધોરણે મૃતકોની સરેરાશ સંખ્યા 30-40થી વધીને 200ને પાર પહોંચી છે. તેમ છતાં ચીનના જણાવ્યા મુજબ ત્યાં કોરોના વાઇરસને લીધે માત્ર પાંચ લોકોનાં મોત થયાં છે.

રોઇટર્સના અહેવાલમાં ચીનમાં સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અધિકારી શુ વેંબે કોરોનાની હાલની માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ ઝડપથી મ્યુટન્ટ હોવાના જોખમને તેમની ટીમ યોગ્ય રીતે આકલન નથી કરી શકી. તેમણે આગામી કેટલાક મહિનામાંઓમાં ચીનની અંદર આશરે 80 કરોડ લોકો કોરોના સંક્રમિત થવાની સંભાવના જાહેર કરી છે. જેથી ચીનમાં પાંચ લાખ લોકોનાં મોત થવાની આશંકા છે. ચીનમાં ચાલી રહેલી કોરોનાની લહેરમાં ચીનની 60 ટકા વસતિ આવવાની શક્યતા છે.

પડોશી દેશમાં બગડતી હાલત જોઈને ભારત સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકારે રાજ્યોને એડવાઇઝરી જારી કરી છે. ચીનમાં કોરોનાના વધી રહેલા કેસોની સાથે વિશ્વના મોટા ભાગના કેસોમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.