IPLને કારણે ભારતીય ક્રિકેટને થઈ રહ્યું છે ભારે નુકસાનઃ ગાવસકર

નવી દિલ્હીઃ  IPL વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. હવે સુનીલ ગાવસકરે IPL અંગે એક મોટું નિવેદન આપતાં કહ્યું છે કે IPLને કારણે ભારતીય ક્રિકેટને મોટું નુકસાન થઈ રહ્યું છે. તેમણે T20 ટુર્નામેન્ટ અને ભારતમાં સ્થાનિક ક્રિકેટ રમનારા ખેલાડીઓ માટેનું અંતર પણ જણાવ્યું હતું.

તેમનું માનવું છે કે IPLના ગ્લેમરને કારણે રણજી ટ્રોફી જેવી ટુર્નામેન્ટને અવગણવામાં આવી રહી છે, જે લાંબા ગાળે ભારતીય ક્રિકેટને નુકસાન પહોંચાડી શકે છે. ખેલાડીઓ IPLમાં સારું પ્રદર્શન કરે છે અને ભારતીય ટીમ માટે રમે છે પરંતુ રણજી ટ્રોફીમાં વર્ષો સુધી શાનદાર પ્રદર્શન કર્યા પછી પણ તેમને સરળતાથી સ્થાન નથી મળતું.

ગાવસકરે પોતાની વાત આગળ વધારતા લખ્યું હતું કે આ ઘા પર મીઠું ભભરાવવા જેવું છે, જે લોકો આખી સીઝન ઘરેલુ ક્રિકેટ રમે છે તેઓ અનકેપ્ડ IPL ખેલાડીની સૌથી ઓછી બેઝ પ્રાઈઝ 30 લાખ રૂપિયા પણ નથી કમાઈ શકતા. જો મુંબઈ જેવાં અન્ય સંગઠનો રણજી ખેલાડીઓને BCCI દ્વારા આપવામાં આવતી ચુકવણી સાથે મેળ ખાય છે, તો આ અસંતુલન ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.’

ગાવસકરે પોતાની કોલમમાં લખ્યું કે એવાં ઘણાં ઉદાહરણો છે, જ્યારે એક મેચમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓ એક કે બે સીઝનમાં રમતમાંથી બહાર થઈ જાય છે, પરંતુ IPLની એક સીઝન ઘણી વાર તેમને રણજી ટ્રોફીની આખી કારકિર્દી કરતાં વધુ પૈસા આપે છે. જોકે, આ અસંતુલનનો શ્રેય IPLની જનતા વચ્ચે અપીલ અને તેના કારણે મોટા પાયે પ્રસારણ અને સ્પોન્સરશિપ અધિકારોને જાય છે, પરંતુ તે એ ખેલાડીઓને જરૂર નિરાશ કરે છે જેઓ IPL કરતાં લગભગ ત્રણ ગણું વધુ ક્રિકેટ મેચ રમે છે.