JNPTમાં રૂ. 800 કરોડનું ડ્રેજિંગ કૌભાંડઃ CBIનો એન્જિનિયર્સ, અધિકારીઓ પર શિકંજો

નવી દિલ્હીઃ CBIએ જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટના ભૂતપૂર્વ મુખ્ય મેનેજર સહિત અનેક ખાનગી કંપનીઓ અને વ્યક્તિઓ સામે ડ્રેજિંગ પ્રોજેક્ટમાં કથિત અનિયમિતતાઓ સંબંધિત કેસ દાખલ કર્યો છે, જેને કારણે JNPAને રૂ. 800 કરોડથી વધુનું નુકસાન થયું છે. આ કૌભાંડ મુંબઈના ન્હાવા શેવા બંદરમાં નેવિગેશન ચેનલને ઊંડો બનાવવા માટે આપેલા કોન્ટ્રેક્ટ દરમિયાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

CBIએ મુંબઈ પાસે આવેલ જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ JNPTના “કેપિટલ ડ્રેજિંગ પ્રોજેક્ટ”માં રૂ. 800 કરોડથી વધુની કથિત અનિયમિતતાઓના આરોપમાં JNPT અને ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ (TCE)ના ભૂતપૂર્વ અધિકારીઓ અને બે ડ્રેજિંગ કંપનીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, એમ અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે.

એજન્સીએ આ કાર્યવાહી ત્રણ વર્ષ સુધી ચાલેલી પ્રાથમિક તપાસ બાદ કરી છે, જેમાં પ્રોજેક્ટ માટે ખર્ચના અંદાજ વધારીને બતાવવાનો, આંતરરાષ્ટ્રીય ટેન્ડર આપનાર કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે સ્પર્ધામાં વિક્ષેપ લાવવાનો, ઠેકેદારોને યોગ્ય લાભ પહોંચાડવાનો અને સ્વતંત્ર નિષ્ણાત સંસ્થાઓના રિપોર્ટોને દબાવવાનો આરોપ છે.

CBIએ FIRમાં JNPTના તત્કાલીન મુખ્ય એન્જિનિયર સુનીલકુમાર મધભવી, TCEના તત્કાલીન પ્રોજેક્ટ ડિરેક્ટર દેવદત્ત બોઝ, બોસકાલિસ સ્મિટ ઇન્ડિયા LLP, જાન દે નુલ ડ્રેજિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય અજ્ઞાત સરકારી કર્મચારીઓ વિરુદ્ધ IPCની કલમ 120-બી (આપરાધિક ષડયંત્ર), 420 (ફ્રોડ) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે.

એજન્સીએ FIR નોંધ્યા બાદ મુંબઈ અને ચેન્નઈમાં પાંચ સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં મધભવી, બોઝનાં નિવાસસ્થાનો અને ખાનગી કંપનીઓની ઓફિસોનો સમાવેશ થાય છે. CBIના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દરોડામાં “કેપિટલ ડ્રેજિંગ પ્રોજેક્ટ”સંબંધિત અનેક દસ્તાવેજો, ડિજિટલ સાધનો અને સરકારી કર્મચારીઓ દ્વારા કરેલા રોકાણો દર્શાવતાં દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.