તો શું આસિત મોદી ગુરુચરણ સિંહને આપશે કામ?

મુંબઈ: પોપ્યુલર ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ એક્ટર ગુરચરણ સિંહ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. અભિનેતા આ વર્ષે 22 એપ્રિલે દિલ્હીથી ગૂમ થયા હતા. લગભગ એક મહિના પછી તે તેના ઘરે પાછા ફર્યા. થોડા દિવસો પહેલા જ્યારે ગુરુચરણને એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા, ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ ફરી એકવાર શોમાં સોઢી તરીકે લોકોનું મનોરંજન કરતા જોવા મળશે. આના પર અભિનેતાએ જવાબ આપ્યો હતો, ‘ભગવાન જાણે, રબ જાણે, મને કંઈ ખબર નથી. જેવી મને ખબર પડશે, હું તમને કહીશ.

શું રોશન સોઢી ‘તારક મહેતા…’માં વાપસી કરશે?

હવે તાજેતરમાં ગુરુચરણ સિંહ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર નિર્માતા અસિત મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અસિત મોદીએ કહ્યું કે ગુરુચરણ સિંહ મારા પરિવાર જેવા છે. તે લાંબા સમયથી અમારી સાથે જોડાયેલા હતા. તમને જણાવી દઈએ કે અભિનેતાએ કેટલીક અંગત સમસ્યાઓના કારણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી દીધો હતો. જો કે હવે તે શોના પ્રોડ્યુસર અસિત મોદીને મળી ચૂક્યા છે. એવામાં સીરિયલમાં તેના કમબેકની અફવા ઝડપથી વાયરલ થઈ રહી છે.

ગુરચરણ સિંહ ધાર્મિક યાત્રાએ ગયા હતા

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ એક્ટર ગુરુચરણ સિંહ ઉર્ફે રોશન સિંહ સોઢી 22 એપ્રિલથી ગુમ થયા હતા અને લગભગ એક મહિના પછી તેમના ઘરે પરત ફર્યા હતા. ગુરૂચરણ સિંહ 22 એપ્રિલે દિલ્હીથી મુંબઈ જવા રવાના થયા હતા. પરંતુ તેણે મુંબઈની ફ્લાઇટ ન પકડી અને ક્યાંક બીજે જ રહ્યા હતાં. જ્યારે ગુરુચરણનો સંપર્ક થઈ શક્યો ન હતો ત્યારે તેના પિતાએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

લગભગ એક મહિના પછી ઘરે પાછા આવ્યા હતા

ડીસીપી દક્ષિણ પશ્ચિમ દિલ્હી, રોહિત મીણાએ એક અપડેટ આપી હતી અને કહ્યું હતું કે તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો જેના કારણે તેઓ ધાર્મિક યાત્રાએ ગયા હતા. પરત ફર્યા બાદ ગુરુચરણ સિંહે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે તેઓ અમૃતસર અને લુધિયાણાના ગુરુદ્વારામાં રોકાયા હતા.