UNMIRCની જરૂરિયાતવાળા દર્દીઓ માટે નિઃશુલ્ક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જાહેરાત

અમદાવાદઃ UNM ફાઉન્ડેશન અને UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે (UNMIRC) જરૂરિયાત દર્દીઓને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક સમજૂતી કરાર કર્યો છે. UNM ફાઉન્ડેશન MoUની શરતો અંતર્ગત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના જરૂરિયાતવાલા દર્દોને નિઃશુલ્ક સારવાર મળે એ માટે UNMIRCને સંપૂર્ણ નાણાકીય ટેકો પૂરો પાડશે.

UNM ફાઉન્ડેશન તમામ પ્રક્રિયાના ખર્ચને આવરી લેશે, જેમાં ઓપરેશન પૂર્વે મૂલ્યાંકન, દાતાના હ્રદયનું પરિવહન (જ્યાં જરૂરી હોય ત્યાં એર એમ્બ્યુલન્સ સહિત), હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી, ઓપરેશન બાદ ત્રણ સપ્તાહ સુધી હોસ્પિટલમાં સારવાર, સર્જરી બાદના તબીબી ઉપકરણોનો ઉપયોગ અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પછી એક વર્ષ સુધીની દવાઓનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે UNMIRCના નિયામક ડો. ચિરાગ દોશીએ જણાવ્યું છે કે UNM ફાઉન્ડેશનની આ અનોખી પહેલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર હોય, પરંતુ આર્થિક સ્થિતિ સારી ના હોય એવા અગણિત પરિવારો માટે આશાનું કિરણ છે. અમે દર્દીનું માત્ર જીવન જ નથી બચાવતા, પરંતુ એ પણ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે એવા દર્દીઓ કે જેમને ખરેખર સૌથી વધુ જરૂર છે, તેમને ઉચ્ચ ગુણવત્તાની તબીબી સારસંભાળ પ્રાપ્ત થાય.

UNMIRCએ અત્યાર સુધીમાં 27 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કર્યા છે. આ સાથે UNMIRC દર્દીની પાત્રતાના માપદંડોની જાહેરાત કરશે. આ પહલે પહેલી જૂન, 2024થી પાંચ વર્ષના સમયગાળા માટે અમલમાં મૂકવામાં આવશે. આ સહયોગથી તબીબી સેવા અને નાણાકીય ખેંચ વચ્ચેના અંતરને દૂર કરવાની પહેલને રાહ બતાવશે.