મહારાણા પ્રતાપના વારસદારોએ વિશ્વ ઉમિયાધામનું શિલાપૂજન કર્યું

અમદાવાદઃ વિશ્વ ઉમિયાધામ આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત સૌપ્રથમ વખત અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહા સંમેલનનું આયોજન કરી રહ્યું છે.

આ નિમિત્તે પૂર્વસંધ્યાએ 30 ઓક્ટોબરે મહારાણા પ્રતાપના વંશજ મહારાજ કુમારસાહેબ ડો. લક્ષ્યરાજસિંહજી મેવાડ-ઉદયપુર, રાજસ્થાન એવમ્ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના વંશજ મહારાજા રાઓલ સાહેબ વિજયરાજસિંહજી – ભાવનગર, ગુજરાત સહિત 12 રાજવી વારસદારોએ વિશ્વ ઉમિયાધામમાં જગત જનની મા ઉમિયાની પૂજા-અર્ચના અને આરતી કરી હતી. આ સાથે જ 15 રાજવી વારસદારોએ વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના નિર્માણાધીન મંદિરની શિલાનું પણ પૂજન કર્યું.

આ અંગે વાત કરતાં સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલ જણાવે છે કે રાજવી વારસદારોની વિશ્વ ઉમિયાધામમાં પધરામણીથી સામાજિક સમરસતાનું ઉદાહરણ ઊભું થયું છે. ઇતિહાસમાં પ્રથમ વાર કોઈ વૈશ્વિક સંસ્થા તરીકે વિશ્વ ઉમિયાધામ અખંડ ભારતમાં રાજ્ય સમર્પિત કરનાર રાજવીઓનું સન્માન કરી રહ્યું છે અને 31 ઓક્ટોબરે રાજ્યભરમાંથી દરેક સમાજના એક લાખથી વધુ રાષ્ટ્રપ્રેમી જનતા સરદાર સાહેબની જીવનગાથાનું રસપાન કરશે. સરદાર પટેલના જીવનની સિદ્ધાંતોને સમજવા માટે તેમના સંકલ્પ સિદ્ધ પ્રસંગોમાંથી આજના યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી સરદાર પટેલ ગૌરવગાથાનું આયોજન કરવામાં આવ્યું છે.