અમદાવાદ: ગુજરાતમાં હોળી-ધૂળેટીના ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ રંગોત્સવ આખા ગુજરાતમાં ખુશીનો માહોલ લઈ આવ્યું હતું. આ વચ્ચે ગુજરાતની ઘણી એવી જગ્યા છે. જ્યાં આ તહેવાર ગમ લઈ આવ્યું હતું. આ તહેવારમાં મારામારી માર્ગ અકસ્માત સહિતની ઘટનામાં વધારો નોંધાતો હોય છે. તહેવારોમાં અકસ્માત સહિતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ચોવિસ કલાસ 108 ઈમરજન્સી સેવામાં સજ્જ રહી હતી. 108 ઈમરજન્સી સેવા દ્વારા રાજ્યમાં ધૂળેટીની સાંજ 6 વાગ્યા સુધીમાં આવેલા કોલને લઈને આંકડાકીય માહિતી જાહેર કરી છે. જેમાં મેડિકલ ઈમરજન્સીના કેસમાં 30 ટકા વધારો થયો, ત્યારે 3485 કોલ્સમાંથી 715 માર્ગ અકસ્માતના કોલ નોંધાયા હતા.
108 ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, રાજ્યમાં આજે શુક્રવારે ધૂળેટીના દિવસે 3485 મેડિકલ ઈમરજન્સી કોલ્સ રિસિવ કરવામાં આવ્યા હતા. જેમાંથી માર્ગ અકસ્માતની ઘટનાના સૌથી વધુ 715 કોલ્સ નોંધાયા હતા. જ્યારે 360 મારામારીના અને 209 સામાન્ય ઈજાના નોંધાયા હતા. અમદાવાદમાં 95, સુરતમાં 93, વડોદરામાં 51, રાજકોટમાં 34, દાહોદમાં 30, ખેડામાં 29, બનાસકાંઠામાં 24, પંચમહાલ-ભરૂચમાં 23-23 અને વલસાડ, નવસારી અને આણંદમાં 20-20 અક્સમાતના કોલ્સ 108 ઈમરજન્સીમાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે રાજ્યમાં સરેરાશ 3735 ઈમરજન્સી કોલ્સ નોંધાતા હોય છે. જ્યારે સામાન્ય દિવસની સરખામણીએ માર્ગ અકસ્માતને લઈને 108 ઈમરજન્સીમાં નોંધાયેલા કેસમાં વધારો જોવા મળ્યો છે. જેમાં 458 સામાન્ય દિવસના કોલની તુલનાએ એક દિવસમાં 257 જેટલાં કોલ વધુ નોંધાયા હતા.
