PM મોદીનાં માતા હીરા બા UN મહેતા હોસ્પિટલમાં દાખલ

અમદાવાદઃ વડા પ્રધાન મોદીનાં માતાની તબિયત બગડતાં તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. વડા પ્રધાન તેમની માતાની ખબર કાઢવા માટે તેઓ અમદાવાદ આવી રહ્યા છે. હીરા બા જૂનમાં 100 વર્ષનાં થયાં છે. જોકે તેમની હાલત સ્થિર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. તેમના પરિવારના બધા સભ્યો હોસ્પિટલમાં હાજર છે. હીરા બાને કફની ફરિયાદ હતી. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ પણ હીરા બાના હાલચાલ જાણવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા જૂનમાં 100 વર્ષનાં થયાં છે. હીરા બાના 100મા જન્મદિને વડા પ્રધાન મોદી ગાંધીનગરમાં તેમને મળવા પહોંચ્યા હતા. તેમણે તેમના માતા હીરા બા પાસે આશીર્વાદ પણ લીધા હતા અને તેમની પૂજા-અર્ચના પણ કરી હતી. વડા પ્રધાને તેમની માતાના એ વખતે પગ પણ પખાળ્યા હતા ને તેમને ભેટમાં શાલ પણ આપી હતી.

અમદાવાદના અસારવાના ધારાસભ્ય દર્શનાબહેન વાઘેલા અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન પણ હીરા બાના હાલચાલ જાણવા યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યાં છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બપોરે ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચે એવી શક્યતા છે.