મોડાસા દુષ્કર્મ મામલોઃ અચંબિત કરતા તથ્યો બહાર આવ્યા

અરવલ્લી: મોડાસાના સાયરા (અમરાપુર)ની 19 વર્ષીય કોલેજિયન યુવતીનાં અપહરણ, સામુહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં આખરે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. PM રિપોર્ટ સામે આવ્યા બાદ ખ્યાલ આવ્યો છે કે, 19 વર્ષીય કોલેજીયન યુવતી સાથે વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. યુવતીના મૃતદેહનાં બીજા અહેવાલમાં સામે આવ્યું કે, રાક્ષસી વ્યક્તિઓએ વિકૃતીની તમામ હદ વળોટી દીધી હતી. પાંચ ડોક્ટર્સની પેનલ દ્વારા કરવામાં આવેલા પીએમમાં સામે આવ્યું કે, યુવતીને ઘસડવામાં આવી હતી. વારંવાર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેને ગાળીયો બનાવીને લટકાવી દેવામાં આવી હતી.

તેનાં મળદ્વારનાં પોસ્ટમોર્ટમમાં ખુબ જ ચોંકાવનારો ખુલાસો થયો છે. કોલેજિયન યુવતી સાથે ખુબ જ ક્રુરતાપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. કોલેજિયન યુવતી 5 જાન્યુઆરી ગામનાં વડનાં ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી. તેનાં મળદ્વારનો એક હિસ્સો (આંતરડા) બહાર આવી ગયા હતા. તેના ડાબા સ્તન પર ઇજાનાં નિશાનો હતા. ડાબા અંગુઠા પર પણ ઇજાના નિશાન હતા. ગળાનાં ભાગે નિશાન જોતા પણ તેને ફાંસી પર લટકાવવામાં આવી હોવાનું સ્પષ્ટ થતું હતું.

પોલીસ દ્વારા વિમલ ભરવાડ અને તેનાં મિત્ર દર્શન ભરવાડ, સતીશ ભરવાડ અને જિગર પરમાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જે પૈકી ત્રણ લોકોએ પોલીસમાં આત્મસમર્પણ કર્યું હતું. જ્યારે એક આરોપી સતીષ ભરવાડ હજુ પણ ફરાર છે. આ તમામ પર સામુહિક દુષ્કર્મનો આરોપ છે. આ મુદ્દો ત્યારે ગરમાઇ ગયો જ્યારે પીડિતાનાં પક્ષે તો દેખાવો થયા જ પરંતુ આરોપીઓને બચાવવા માટે પણ રેલી નિકળી જેથી આ સમગ્ર મુદ્દો ગુંચવાયો અને આખરે પ્રકાશમાં આવ્યો હતો.