પાંચ વર્ષોમાં પોલીસ હિરાસતમાં મોતના સૌથી વધુ કેસ ગુજરાતમાં

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં જાણ કરી છે કે છેલ્લાં પાંચ વર્ષોમાં હિરાસતમાં સૌથી વધુ  મોત ગુજરાતમાં થયાં છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ સમયગાળામાં રાજ્યમાં 80નાં મોત થયાં છે. ત્યાર બાદ મહારાષ્ટ્ર (76), ઉત્તર પ્રદેશ (41), તામિલનાડુ (40) અને બિહાર (38)નો ક્રમાંક આવે છે, એમ ઇન્ડિયન એક્સપ્રેસનો અહેવાલ કહે છે.

દેશનાં બધાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એપ્રિલ-2017થી માર્ચ-2022ની વચ્ચે પોલીસ હિરાસતમાં થયેલાં મોતોને સંખ્યાને શેર કરતાં ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે રાજ્યસભાને જાણ કરી હતી કે 2017-18માં પોલીસ હિરાસતમાં 146 કેસો નોંધાયા હતા, વર્ષ 2018-19માં 136, વર્ષ 2019-20માં 112, વર્ષ 2020-21માં 100 અને વર્ષ 2021-22માં 175 કેસો રિર્પોર્ટ કરવામાં આવ્યા હતા.

રાયે કહ્યું હતું કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છેલ્લાં પાંચ વર્ષોમાં હિરાસતમાં સૌથી વધુ ઘટનાઓ દિલ્હીમાં થઈ હતી, જેની સંખ્યા 29 હતી, ત્યાર બાદ જમ્મુ-કાશ્મીરનો નંબર આવે છે, જ્યાં ચારનાં મોત થયાં હતાં.

રાષ્ટ્રીય માનવાધિકારી પંચ (NHRC)નો હવાલો આપતાં મંત્રીએ કહ્યું હતું કે પોલીસ હિરાસતમાં મોતની ઘટનાઓમાં પંચે 201 કેસોમાં 5.80 કરોડથી આર્થિક રાહત અને એક મામલામાં કાયદાકીય કાર્યવાહીની ભલામણ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે સિક્કિમ અને ગોવા જેવાં રાજ્યોમાં 2017થી 2020 સુધી કોઈ ઘટના નોંધવામાં આવી હતી, પરંતુ 2021-22માં બંને રાજ્યોમાં હિરાસતમાં મોતની એક-એક ઘટના નોંધવામાં આવી હતી.