અમદાવાદ: ગણપત યુનિવર્સિટીએ ઘણુ જ દૂરંદેશી પગલું લેતા વર્ષ 2005થી એગ્રી બિઝનેસ ક્ષેત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલનો અભ્યાસક્રમ શરૂ કરેલ છે. છેલ્લા વર્ષોમાં ધોરણ 12 પછી ફૂડ ટેક્નોલૉજીનો કોર્સ પણ શરૂ કરવામાં આવેલ છે. ગણપત યુનિવર્સિટીના આ યોગદાનને ઈન્ડસ્ટ્રી તેમજ સરકાર દ્વારા પણ ઘણુ પ્રશંસાને પાત્ર ગણવામાં આવેલ છે.
એસોસિયશન ઓફ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા 13માં વૈશ્વિક ફૂડ પ્રોસેસસિંગ અને એગ્રી બિઝનેસ સમિટમાં નોંધપાત્ર યોગદાન બદલ બે પ્રતિષ્ટિત એવોર્ડ (૧) ઈન્ડસ્ટ્રી ચોઈસ એવોર્ડ ફોર બેસ્ટ પીજી (પોસ્ટ ગ્રેજ્યુએટ) પ્રોગ્રામ ઇન એગ્રી બિઝનેસ અને (૨) ઈમર્જિંગ ઇન્સ્ટીટ્યુટ ઓફરિંગ પ્રોગ્રામ ઇન ફૂડ ટેક્નોલોજી એનાયત કરવામાં આવ્યા.
આ એવોર્ડ ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયનાં રાજ્યમંત્રી રામેશ્વર તેલીના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે સમરક્ન્દ, ઉઝબેકિસ્તાનના ગવર્નર ઓયબેક ખોજએવ, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીસ કોર્પોરશનના મેનેજિંગ ડાયરેકટર કે. એસ. રંધાવા, નાબાર્ડ, ગુજરાતના સીજીએમ ડી કે મિશ્રા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગણપત યુનિવર્સિટીના પ્રો-ચાન્સેલર ડો. આર. કે. પટેલ, મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ ડીન ડોં. સૌરભી ચતુર્વેદી તથા ઈન્ડસ્ટ્રી ફોકસેડ એમબીએ પ્રોગ્રામના ચેરપર્સન ડો. મૌર્વી વસાવડાએ એવોર્ડ સ્વીકાર્યા હતા. નોંધપાત્ર છે કે ગણપત યુનિવર્સિટીએ સતત બીજા વર્ષે આ એવાર્ડ મેળવ્યા હતા.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)