ગણપત યુનિ. દ્વારા નવી શિક્ષણ-નીતિ મુદ્દે વર્કશોપનું આયોજન

મહેસાણાઃ ગણપત યુનિવર્સિટી દ્વારા ‘નેશનલ એજ્યુકેશન પોલિસીઃ પબ્લિકલી સ્પિરિટેડ લીડરશિપ એન્ડ ગવર્નન્સ’  વિષય પર ઓનલાઇન વર્કશોપનું આયોજન હાલમાં કરવામાં આવ્યું હતું. શિક્ષક દિનની ઉજવણીના માહોલમાં યોજાયેલી આ વર્કશોપમાં નવી દિલ્હીના નેશનલ સેક્રેટરી, અતુલભાઈ કોઠારી, સેન્ટ્રલ યુનિ.-ગુજરાતના વાઇસ ચાન્સેલર રામાશંકર દુબે, રાજ્યના હાયર એજ્યુ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર એમ. નાગરાજન, એસોસિયેશન ઓફ ઇન્ડિયન યુનિ.ના જોઇન્ટ ડિરેક્ટર અમરેન્દ્ર પાની, ગણપત યુનિવર્સિટીના પેટ્રન ઇન-ચીફ અને પ્રમુખ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ,  પ્રોફેસર ચાન્સેલર અને ડિરેક્ટર જનરલ પ્રો. ડો. મહેન્દ્ર શર્મા સહિત પ્રાધ્યપકો, અભ્યાસુ સંશોધકો, અનેક આચાર્યો અને શિક્ષકો પણ જોડાયા હતા.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ડિરેક્ટર એમ. નાગરાજને નવી શિક્ષણ નીતિના અમલીકરણને લક્ષ્યમાં લઈને કહ્યું હતું કે આપણાં સામાજિક-શૈક્ષણિક મૂલ્યો અને વૈશ્વિક સંસ્કૃતિનો સુભગ સમન્વય સાધીને શિક્ષણ નીતિના અમલનો પ્રભાવ વધારી શકાય છે તો શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના નેશનલ સેક્રેટરી અતુલ કોઠારીએ નવી શિક્ષણ નીતિના અમલીકરણમાં આત્મવિશ્વાસનો અભાવ નડી શકે છે એવી ટીકા સાથે જણાવ્યું હતું કે શિક્ષણ નીતિના દસ્તાવેજો યોગ્ય રીતે વાંચતા સુધ્ધાં નથી. ભારતીય જ્ઞાન, પરંપરા, પારિવારિક મૂલ્યો જેવી બાબતોને અભ્સક્રમોમાં સમાવવા ઉપરાંત સંશોધનની આદત વિદ્યાર્થીઓમાં ઉચ્ચ શિક્ષણના પ્રારંભથી પાડવી જોઈએ અને માતૃભાષાનો વિકલ્પ પણ સંશોધન માટે સુલભ હોવો જોઈએ.

યુનિ.ના પ્રેસિડેન્ટ પદ્મમશ્રી ગણપતભાઈએ વક્તવ્યમાં જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિના કેટલાક મુદ્દાઓને અમે પહેલેથી જ અમલમાં મૂક્યા છે, જેમાં સ્ટુડન્ટ્સ ફર્સ્ટ-કેરેક્ટર મસ્ટ- મુખ્ય છે. તેમણે એવું પણ સૂચવ્યું હતું કે પબ્લિકલી સ્પિરેટેડ લીડરશિપ શૂડ બી ધ વે ઓફ લાઇફ.

સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રામાશંકર દુબેજીએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિમાં ભારતીય વિદ્યા પરંપરાના ગુરુઓને આવરી લેવા માટે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ચારિત્ર્યના ઘડતર દ્વારા સારું નેતૃત્વ ઊભું થઈ શકે છે.

વર્કશોપના પ્રારંભે પ્રો. ચાન્સેલર અને ડીજી પ્રો. ડો. મહેન્દ્ર શર્માએ સૌ સહભાગીઓનું સ્વાગત કર્યું હતું. યુનિવર્સિટીના ડો. સુબ્રત સાહુ, ડો. અમિત પટેલ સહિત અનેક મહાનુભાવોએ વર્કશોપના સફળ અને સાર્થક આયોજનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.