ગણેશોત્સવનું સમાપનઃ ભક્તો દ્વારા ગણપતિને ધામધૂમથી વિદાય

અમદાવાદઃ આજે બાપ્પાની વિદાયનો દિવસ છે. દેશભરમાં અને ખાસ કરીને મુંબઈમાં પૂજા-અર્ચનાની સાથે ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. લોકો નાચતા-ગાતાં બાપ્પાની વિદાયના સરઘસમાં સામેલ થાય છે અને આગામી વર્ષે જલદી આવવાની પ્રાર્થના કરે છે.  દેશના શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ગણેશજીનું સ્થાપન કરીને તેનું પૂજન-અર્ચન કરવામાં આવી છે. ગણેશ વિસર્જનમાં કોઈ દુર્ઘટના  ન બને એ માટે કોર્પોરેશન દ્વારા શહેરમાં ગણેશની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

મુંબઈમાં ગણપતિ વિસર્જન ગિરગાંવ, ચોપાટી, શિવાજી પાર્ક, બાંદરા, જુહુ સહિત અનેક જગ્યાએ કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યાં છે. બાપ્પાને વિદાય આપવા માટે  અને તેમની છેલ્લી ઝલક જોવા માટે લોકોની ભીડ રસ્તાઓ પર ઊમટી પડી છે. મુંબઈમાં કોર્પોરેશને 10,000 કર્મચારીઓને ડ્યૂટી પર લગાડ્યા છે. આ સિવાય SRPF અને રેપિડ એક્શન ફોર્સ અને હોમગાર્ડના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. જોકે મુંબઈમાં સમુદ્રમાં હાઇ ટાઇડની ચેતવણી આપવામાં આવી છે, જેથી સમુદ્રમાં ગણપતિ વિસર્જન કરવામાં નહીં આવે.

અમદાવાદમાં ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે શહેરમાં 55 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા ઝોન પ્રમાણે વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત  શહેરભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના માણેજા ગામમાં રાત્રે ગણેશ વિસર્જનમાં મારામારીનો બનાવ બન્યો હતો. વિસર્જન દરમિયાન માથાભારે શખ્સોએ ભારે આતંક મચાવ્યો હતો.