TRP અગ્નિકાંડને એક વર્ષ બાદ પણ પીડિતો ન્યાયની રાહે, કોંગ્રેસનું આંદોલન

25 મે, 2024ના રોજ રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી ભયંકર આગમાં 27 લોકો, જેમાં બાળકોનો પણ સમાવેશ હતો, બળીને ખાખ થયા હતા. આ માનવીય લાપરવાહીથી સર્જાયેલી દુર્ઘટનાને એક વર્ષ થવા આવ્યું છે, પરંતુ પીડિતોના પરિવારોને ન્યાય મળ્યો નથી. આજે, 20 મે, 2025ના રોજ, કોંગ્રેસે રાજકોટમાં ત્રિકોણબાગથી મનપા કચેરી સુધી રેલીનું આયોજન કર્યું હતું, પરંતુ પોલીસે રેલી શરૂ થતાં જ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી. આ દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના દૃશ્યો જોવા મળ્યા. મનપા કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

શહેર કોંગ્રેસ પ્રમુખ અને મનપાના વિપક્ષી નેતાએ જણાવ્યું કે, 20 મે થી 25 મે સુધી સળંગ છ દિવસના વિરોધ કાર્યક્રમો કરવામાં આવશે. આ કાર્યક્રમ અતર્ગત 20 મેના કમિશનરનો ઘેરાવ અને શહેરમાં પત્રિકા વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત 21 મેના રોજ પોલીસ કમિશનરને રજૂઆત અને ન્યાય સંકલ્પ રથ ફેરવવામાં આવશે. 22 મેના વોર્ડ પ્રભારીઓ દ્વારા વિસ્તારોમાં રિક્ષામાં સ્ટીકર અને પત્રિકા વિતરણ કરવામાં આવશે. 23 મેના પત્રિકા વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 24 મેના સરકારની ભૂમિકા અંગે વિગતો જાહેર કરવી. 25 મેના સાંજે જિલ્લા પંચાયત ચોકમાં કેન્ડલ માર્ચ કરવામાં આવશે.

ગુજરાત સરકારે સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, જેમાં રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોષી, રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ એમ.આર. સુમા અને પરસ કોઠિયા, પોલીસ ઈન્સ્પેક્ટર્સ વી.આર. પટેલ અને એન.આઈ. રાઠોડ, તેમજ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાનો સમાવેશ થાય છે. ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી, મેનેજર નીતિન જૈન અને ચોથા આરોપી ધવલ ઠક્કરની ધરપકડ કરાઈ, જ્યારે બે આરોપી હજુ ફરાર છે. FIRમાં કલમ 304 (કલ્પેબલ હોમિસાઈડ) સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો.