ગુજરાતની આ પ્રાચીન વિરાસત હવે આઇકોનિક બનશે….

અમદાવાદઃ નાણામંત્રી નિર્મલા સીતારામને આજે વર્ષ 2020-21 નું બજેટ રજૂ કરતી વખતે બજેટમાં ભારતની કુલ પાંચ પુરાતત્વ સાઈટને આઈકોનિક સાઈટ તરીકે ડેવલપ કરવાની જાહેરાત કરી છે. આ પાંચ પુરાતત્વ સાઈટમાં ગુજરાતના ધોળાવીરાનો પણ સમાવેશ થાય છે. ધોળાવીરા ઉપરાંત શિવસાગર (આસામ), રાખીગઢ (હરિયાણા), હસ્તિનાપુર (ઉત્તર પ્રદેશ) સાઇટસનો પણ એમાં સમાવેશ થાય છે. આ સાઇટસમાં ઓન-સાઇટ મ્યુઝીયમ ઉપરાંત ઘણી નવી સુવિધાઓ વિકસાવવામાં આવશે.

શું છે આ ધોળાવીરા પુરાતત્વ સાઇટ?

ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. ધોળાવીરાની સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને તે સમયે આશરે 50,000 જેટલા લોકો આ મહાનગરમાં રહેતા હોવાનું અનુમાન છે. આ નગરની પાણીની વ્યવસ્થા, રાજમહેલ અને પ્રાંતના મહેલની રચના, તે સમયે ત્યાં રહેતા લોકોની રહેણી કરણી, ત્યાંની વ્યવસ્થા વગેરે જાણવા જેવું છે.

મોહેં-જો-દડો અને હડ્ડપાના સમયમાં કાચી પાકી ઈંટો દ્વારા અહીંયા બાંધકામ કરવામાં આવેલું છે. જ્યારે આ ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પથ્થરોથી બાંધકામ થયું છે અને પથ્થરો નજીકમાં આવેલી ખાણોમાંથી કાઢેલા છે. ધોળાવીરામાં નગરની ચારેબાજુ દીવાલ આવેલી છે. ૪૭ હેક્ટર (૧૨૦ એકર) ચતુર્થાંશ શહેર બે મોસમી સ્ટ્રીમ્સ, ઉત્તરમાં માનસાર અને દક્ષિણમાં મનહાર વચ્ચે આવેલું છે.

આ સાઇટનો સી ૨૬૫૦ બી.સી. સુધી ઉપયોગ કરવામા આવ્યો હતો, જે આશરે ૨૧૦૦ બી.સી. પછી ધીમે ધીમે ઉ૫યોગ ઘટતા, ટૂંકમાં તે સ્થળ છોડી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ.૧૫૦૫૦ બી.સી. સુધી ફરીથી ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.

ધોળાવીરા નગર મુખ્ય ત્રણ ભાગમાં વહેચવામા આવ્યું હતું

(૧) રાજાનો/શાસક અધિકારીનો રાજમહેલ કે જે ઊંચાઇવાળી જગ્યા પર છે. તેની ચારેબાજુથી મજબૂત કિલ્લાબંદી કરવામાં આવી હતી. આ કિલ્લામાં ચાર દરવાજા હતાં.

(૨) અન્ય અધિકારીઓનાં આવાસ કે જેના ફરતે પણ રક્ષણાત્મક દિવાલ હતી અને બેથી પાંચ ઓરડાવાળા મકાન હતાં.

(૩) સામાન્ય નગરજનોનાં આવાસ હાથે ઘડેલી ઈંટોના બનાવેલા હતા. આ નગરમાં મોતી બનાવાનું મોટુ કારખાનુ પણ મળી આવ્યું છે. અહીંથી પ્રાપ્ત થયેલા અવશેષોમાં તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી છે.

સિંધુ ખીણની સંસ્કૃતિ ‘મૉર્ડન ટાઉન પ્લાનિંગ’ માટે જાણીતી હતી. આ સંસ્કૃતિનાં શહેરો એમના મકાનો, સ્થાપત્યો, જાહેર સ્થળો, ગટરવ્યવસ્થા માટે આજે પણ આદર્શ માનવામાં આવે છે. વજન નિયમન, માપ, સિરૅમિક, કળા અને કૌશલ્યોમાં સિંધુ ખીણની સંસ્કૃતિએ ભારે મહારત હાંસલ કરી લીધી હતી. રણમાં વસેલું હોવા છતાં ધોળાવીરા સિંધુ સંસ્કૃતિનું મહાનગર હતું અને અત્યંત સમૃદ્ધ હતું. રણને કારણે ઊભી થયેલી પાણીની અછતને પહોંચી વળવા એ સમયે સિંધુ ખીણની સંસ્કૃતિનું ઇજનેરી કસબ કામે લગાડવામાં આવ્યું હતું.