કોરોના ટેસ્ટિંગના તંબુઃ સંક્રમણનો ડર કે આરોગ્યની ચિંતા?

અમદાવાદઃ રાજ્યમાં અને શહેરમાં કોરોનાના કેસમાં ફરી એક વાર વધારો થઈ રહ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં કોરોના ટેસ્ટિંગ કરવા માટેના ઉખાડી નાખવામાં આવેલા તંબુ ફરી એક વાર માર્ગો પર લગાડવામાં આવ્યા છે. શહેરના અંકુર ચાર રસ્તા નારણપુરા, જોધપુર, પ્રહલાદ નગર જેવા કેટલાક વિસ્તારોમાં ફરી મફતમાં ઝડપથી કોરોના ટેસ્ટિંગ કરતાં તંબુ તાત્કાલિક બાંધી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તારણો એવું કહે છે કે અચાનક કોરોનાના કેસો વધી રહ્યા છે. જોકે સ્થાનિક ચૂંટણી પ્રચારની સભા, સરઘસો, મેળાવડા અને મુલાકાતોને ક્યાંય કોરોનાનો રોગચાળો નડ્યો નથી.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 451 કેસ નોંધાયા છે. જેની સામે 328 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4409 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.53 ટકા છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં એકમાં એકા એક વધારો થયો છે. ફરી નવી પાંચ સોસાયટી માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાઇ છે. કોરોના સંક્રમણને કારણે અમદાવાદ ની કુલ ૨૧ સોસાયટી માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં સામેલ છે. આજે પાંચ સોસાયટી માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારની યાદીમાં સામેલ કરવામાં આવી છે.

કોરોનાનું ચેકિંગ કરવા માટે ના તાત્કાલિક તાણી બાંધેલા તંબુથી લોકોમાં ભારે આશ્ચર્ય છે. શહેરમાં ઠેર-ઠેર બાંધેલા તંબુ સંક્રમણ ફેલાવાની તંત્રને દહેશત છે કે  લોકોની સુખાકારીની ચિંતા..?

(પ્રજ્ઞેશ વ્યાસ)