કોરોના રસીકરણ માટે સિવિલતંત્ર સજ્જ, ડ્રાય રન સફળ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્થળોએ કોરોના રસીકરણની પૂર્વતૈયારીના ભાગરૂપે ડ્રાય રન યોજવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનના સહયોગથી અમારા જૂના ટ્રોમાં સેન્ટરમાં ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું, એમ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.જે.વી. મોદીએ કહ્યું હતું.

આ ડ્રાય રનમાં પહેલેથી નોંધાયેલા વેક્સિન લેનાર ઉપભોક્તાનું કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા  CO-WIN સોફ્ટવેરમાં નામાંકન થયેલું હોય છે. આ ઉપભોક્તાએ પોતાનું ઓળખ પત્ર બતાવીને કોરોના વેક્સિન મેળવવાની હોય છે. ત્યાર બાદ તેને વેઇટિંગ એરિયામાં બેસાડવામાં આવે છે અને પ્રાથમિક તપાસ કર્યા બાદ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવે છે.પ્રાથમિક તપાસમાં ઉપભોક્તાને શરદી, ઉધરસ કે અન્ય લક્ષણ જણાઈ આવે તો તેનું વેક્સિનેશન માટે અન્ય દિવસે ગોઠવવામાં આવે છે. પ્રથમ ડોઝ આપ્યા બાદ તેને દેખરેખ હેઠળ અલાયદા રૂમમાં અડધો કલાક બેસાડવામાં આવે છે.

આ અલાયદા રૂમમાં દેખરેખ હેઠળ રાખવામાં આવેલા દર્દીને સ્વાસ્થ્ય લગતી કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય ત્યારે સઘન સારવારાર્થે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અતિ ગંભીર પરિસ્થિતિમાં અથવા વેક્સિનની કોઈ પણ પ્રકારની આડઅસર જણાઈ આવે તો અથવા અન્ય પ્રકારની તબીબી અણધારી પરિસ્થિતી સર્જાતાં વેક્સિન લેનાર વ્યક્તિને ICUમાં દાખલ કરવા સુધીની પણ વ્યવસ્થા સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

આગામી સમયમાં અમારી સિવિલ હોસ્પિટલના મેડિકલ, નર્સિંગ, પેરામેડિકના કુલ 7000 સ્ટાફ-મિત્રો, હેલ્થકેર વર્કરમાં કોરોના રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જે માટે અમારા જૂના ટ્રોમા સેન્ટર સમગ્ર પ્રક્રિયાને વધુ સઘન બનાવવા વેક્સિનેટર તૈયાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના તમામ દિશા-નિર્દેશોનું પાલન કરીને આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેમ ડો. જે.પી. મોદીએ ઉમેર્યું હતું.