ચારુસેટ યુનિવર્સિટીના ફેકલ્ટીને મળ્યો INSA નો ફેલો એવોર્ડ

ચાંગા: ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ), તેની સંશોધન પહેલ અને અધ્યાપન અધ્યયનમાં નવીનતા લાવવા માટે સમગ્ર પશ્ચિમ ભારતમાં જાણીતી છે.  તાજેતરમાં ચારુસેટની ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (CSPIT) ના સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના ફેકલ્ટી ડો. પ્રભિન સુકુમારનને પ્રતિષ્ઠિત ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડેમી (INSA)નો વિઝિટિંગ સાયન્ટિસ્ટ ફેલો એવોર્ડ ૨૦૨૦ મળ્યો છે.

આ ફેલોશિપ અંતર્ગત તે મોહાલી (પંજાબ)ના ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન ક્ષેત્રના વૈજ્ઞાનિકના સહયોગથી ૩૦ દિવસ દરમિયાન અદ્યતન સંશોધન કરશે. તેમનું આ સંશોધન ભૂસ્તરશાસ્ત્ર અને માનવશાસ્ત્રના છેલ્લા બે મિલિયન વર્ષથી ચાલતા માનવ ઉત્ક્રાંતિ અને આબોહવા વચ્ચેના આંતરસંબંધોને લક્ષ્યમાં રાખીને કરવામાં આવશે.

છેલ્લા 7 વર્ષથી ચારુસેટ સાથે સંકળાયેલા ડો.સુકુમારને જણાવ્યુ કે સંશોધન સંબંધિત તમામ પ્રવૃત્તિઓમાં ચારુસેટ યુનિવર્સિટી દ્વારા અનુકૂળ વાતાવરણ મળે છે જે મારા જેવા યુવાન સંશોધકોને સારા કાર્યને ચાલુ રાખવા પ્રોત્સાહિત કરે છે. મેં કોઈ અન્ય ખાનગી યુનિવર્સિટી જોઇ નથી, જે યુવા સંશોધકોને આવી રાહત અને આર્થિક સહાય પરી પાડે છે. હું ચારુસેટ સાથે સંકળાયેલા હોવાનો આનંદ અનુભવું છું.

મહત્વનું છે કે, INSAની સ્થાપના જાન્યુઆરી ૧૯૩૫માં ભારતમાં વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા તથા માનવતા અને રાષ્ટ્રીય કલ્યાણ માટે સાયન્ટીફીક નોલેજ ઉભું કરવાના હેતુથી કરવામાં આવી હતી. દર વર્ષે હજારો ઉત્સાહી સંશોધકો ફેલોશિપ માટે અરજી કરે છે અને INSAની વિજ્ઞાન પ્રમોશન સમિતિ, અરજદાર અને અભ્યાસના ક્ષેત્રના ટ્રેક રેકોર્ડના આધારે પસંદગી પ્રક્રિયા કરે છે. વર્ષ ૨૦૨૦ દરમિયાન, સમગ્ર ભારતમાંથી સમિતિ દ્વારા કુલ 52 ફેલોશિપને મંજૂરી આપવામાં આવી હતી.