બાંગ્લાદેશીઓ માટે નકલી દસ્તાવેજો બનાવનાર એજન્ટ ઝડપાયા, ATSની તપાસમાં ઘટસ્ફોટ

અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશ્રય આપનાર લલ્લા બિહારી ઉર્ફે મહમૂદ પઠાણની ધરપકડ બાદ ગુજરાત ATS (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ)ની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓએ નકલી ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, કોર્પોરેટર ગીતા સોલંકી અને પૂર્વ કોર્પોરેટર કમરૂદ્દીનના લેટરપેડનો દુરુપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે.

ATSએ આ મામલે નારોલ વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશી નાગરિક રાણા સરકાર ઉર્ફે મોહમ્મદ દીદાર આલમ અને નકલી ડોક્યુમેન્ટ્સ બનાવનાર એજન્ટ રોબ્યુલ ઇસ્લામની ધરપકડ કરી છે. આરોપીઓ નારોલમાં મણિયાર પેટ્રોલ પંપ સામે આવેલી અલકુરેશ એન્ટરપ્રાઇઝના સોહેબ કુરેશી સાથે મળીને બાંગ્લાદેશીઓ અને અન્ય લોકો માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ જેવા નકલી ડોક્યુમેન્ટ્સ બનાવતા હતા. રાણા સરકારે પોતાના ખોટા આઈડી પ્રૂફનો ઉપયોગ કરી ભારતીય પાસપોર્ટ પણ મેળવ્યો હતો. આરોપીની ‘વીઆઈપી મોબાઇલ એન્ડ મની ટ્રાન્સફર’ નામની દુકાનમાંથી 13 બાંગ્લાદેશીઓના નકલી ડોક્યુમેન્ટ્સ જપ્ત કરાયા છે.

પૂછપરછમાં ખુલાસો થયો કે, આરોપીઓએ શહેઝાદ ખાન પઠાણ, ગીતા સોલંકી અને કમરૂદ્દીનના લેટરપેડનો ઉપયોગ કરીને નકલી ડોક્યુમેન્ટ્સ તૈયાર કર્યા હતા, જેના આધારે બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતીય નાગરિક તરીકે ઓળખ મેળવી રહ્યા હતા. આ ઘટનાએ સ્થાનિક રાજકીય નેતાઓની સંડોવણી અને ડોક્યુમેન્ટ ફોર્જરીના નેટવર્ક પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ATSએ આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) (છેતરપિંડી), 336(2) (દસ્તાવેજોમાં નકલીપણું) અને 351(2) (ગુનાહિત કાવતરું) હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ શરૂ કરી છે.