ગુજરાતના 48 જળાશયો છલકાયા, જાણો ક્યાં કેટલું પાણી છે.

રાજ્યમાં હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. પાછલા 24 કલાકમાં 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડ જિલ્લામાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે વલસાડમાં ભારે વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતી સર્જાય છે. આ ઉપરાંત ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના પગલે રાજ્યના તમામ જળાશયોમાં પાણી નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે.

 રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પરિણામે 48 જળાશયો સંપૂર્ણ ભરાયેલા જ્યારે 9 જળાશયો 90 ટકાથી 100 ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 31 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 39 ડેમ 25 થી 50 ટકા ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,92,041 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 57.48 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,09,663 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55.28 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

રાજ્યમાં ભારે વરસાદના પગલે સૌથી વધુ  ઉકાઈમાં 79,274 ક્યુસેક જ્યારે સરદાર સરોવર યોજનામાં 72,382 ક્યુસેક,  દમણગંગામાં 42,088 ક્યુસેક, રાવલમાં 13,100 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 64.58 ટકા, કચ્છના 20 જળાશયોમાં 52.23 ટકા, સૌરાષ્ટ્રના 141માં 52.16 ટકા, મધ્ય ગુજરાતના 17માં  44.01 ટકા, તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.