સુશાંતનું મોતઃ કરણ જોહર, આલિયાના ‘ઢોંગ’ પર નેટયૂઝર્સ ભડક્યા

મુંબઈઃ બોલીવુડના જાણીતો એક્ટર સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે રહ્યો નથી. તેણે ગયા રવિવારે મુંબઈમાં પોતાના ઘરમાં ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. એ 34 વર્ષનો હતો. એના અંતિમ સંસ્કાર ગઈકાલે મુંબઈમાં કરવામાં આવ્યા. એકતરફ જ્યાં સુશાંતના મોતથી બોલીવુડ શોકમાં ગરકાવ થયું છે તો બીજી બાજુ સોશિયલ મીડિયા પર સુશાંતના પ્રશંસકો બોલીવુડના દિગ્ગજ નિર્માતા કરણ જોહર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ પર ગુસ્સે ભરાયા છે. બંનેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યા છે. આનું કારણ એક વિડિયો ક્લિપ છે. હાલ સોશિયલ મીડિયા પર કરણ જોહરના ટીવી શો ‘કોફી વિથ કરણ’ની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ છે. આમાં કરણ સાથે આલિયા ભટ્ટ પણ છે. આ ક્લિપમાં કરણ આલિયાને રેપિડ ફાયર રાઉન્ડમાં 3 પ્રશ્ન પૂછે છે કે, ‘તું સુશાંત સિંહ રાજપૂત, રણબીર કપૂર અને રણવીર સિંહ – આ ત્રણ અભિનેતાઓમાંથી કોની સાથે લગ્ન કરવાનું પસંદ કરીશ, કોને મારી નાખવાનું પસંદ કરીશ અને કોની સાથે હૂકઅપ કરવાનું પસંદ કરીશ?’ એના જવાબમાં આલિયાએ કહ્યું કે, એ રણબીર કપૂર સાથે લગ્ન કરવા ઈચ્છશે, સુશાંત સિંહ રાજપૂતને મારી નાખવા ઈચ્છશે અને રણવીર સિંહ સાથે હુકઅપ (રિલેશનશિપ) કરવા ઈચ્છશે.

આ છે, એ વિડિયો ક્લિપ…

એ જ કાર્યક્રમમાં આલિયાએ સુશાંત સિંહની મજાક પણ ઉડાવી હતી. સુશાંત સિંહ રાજપૂત, રણવીર સિંહ અને વરુણ ધવનને રેટિંગ આપવાનું પૂછવામાં જ્યારે આવ્યું ત્યારે આલિયાએ કહ્યું હતું કે ‘સુશાંત સિંહ રાજપૂત, એ કોણ છે?’

આ વિડીયો ક્લિપને લઈને સોશિયલ મીડિયા પર કરણ જોહર અને આલિયા ભટ્ટની આકરી ટીકા કરવામાં આવી રહી છે. અમુક લોકો માગણી કરી રહ્યા છે કે જોહર અને આલિયાને જેલમાં મોકલી દેવા જોઈએ. કેટલાકે તો કરણ જોહર અને આલિયાને ઢોંગી કહીને ધુત્કારી કાઢ્યા છે.

સુશાંત સિંહના મોતના સમાચાર જાણ્યા બાદ કરણ અને આલિયાએ પોતપોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર દુઃખ વ્યક્ત કરતા લખાણ પોસ્ટ કર્યા હતા, પણ એના પ્રતિસાદમાં કેટલાક નેટયૂઝર્સે કરણ અને આલિયાની પોલ ખોલી દીધી હતી.