શાહરુખ ખાન ગણપતિ વિસર્જને પોસ્ટ કરીને ટ્રોલ થયો

નવી દિલ્હીઃ દેશમાં ગણેશોત્સવ ધામધૂમથી ઊજવવામાં આવે છે, જેમાં બોલીવૂડના લોકો પણ સામેલ છે. અનેક બોલીવૂડની હસ્તીઓ ગણપતિની મૂર્તિ ઘરે લાવે છે. બોલીવૂડ એક્ટર શાહરુખ ખાન દર વર્ષે પોતાના ઘરે ગણપતિની પૂજા કરે છે અને અનંત ચતુર્થીએ  ભગવાન ગણપતિને વિદાય આપે છે.

રોમાન્સના રાજા શાહરુખ ખાને આવતા વર્ષે ફરી લાવવાની ઇચ્છા સાથે બધાની સલામતીની પ્રાર્થના કરી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઘરમાં લવાયેલા ગણપતિની મૂર્તિનો એક ફોટો પણ શેર કર્યો હતો. તેણે ફોટો શેર કરતાં લખ્યું હતું કે ભગવાન ગણેશના આર્શીવાદ આપણા બધા પર રહે અને આવતા વર્ષે ગણપતિ બાપ્પા ફરી આવે…ગણપતિ બાપ્પા મોર્યા. તેણે ફોટો શેર કર્યાની થોડીક મિનિટોમાં તેને એક લાખથી વધુ ફેન્સનો પ્રેમ મળ્યો હતો. જોકે  આ વખતે ગણપતિ વિસર્જને સોશિયલ મિડિયા પર પોસ્ટ મૂકીને કટ્ટરપંથીઓએ તેને ટ્રોલ કર્યો હતો.

શાહરુખ ખાનની ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ પર કેટલાક મુસ્લિમ કટ્ટરપંથી ભડકી ગયા હતા અને તેને ઇસ્લામનું શિક્ષણ આપવા લાગ્યા હતા. જોકે અનેક લોકો એવા પણ હતા, જે શાહરુખ ખાનની ધર્મનિરપેક્ષતાની પ્રશંસા કરી રહ્યા હતા કે તે દરેક ધર્મનો તહેવાર ઊજવે છે. એક કટ્ટરપંથીએ લખ્યું, યાર,  રોલ મોડલ તું આવું કેમ કરે છે? એક અન્યએ લખ્યું હતું કે પહેલેથી જ તું ધર્મ બદલી ચૂક્યો છે. એક યુઝરે લખ્યું હતું કે ભગવાન તને સાચો રસ્તો બતાવે. માત્ર એ લોકોને ખુશ કરવા તું તારી મર્યાદા ઓળંગી ગયો અને ભૂલી ગયો કે તું એક મુસ્લિમ ફેમિલીમાંથી છે.