બોલીવુડને ‘બકવાસ’ કહેનારાઓની રીચા ચઢ્ઢાએ ઝાટકણી કાઢી

મુંબઈઃ સોશ્યલ મીડિયા પર ચાલી રહેલા ‘બોયકોટ બોલીવૂડ’ ટ્રેન્ડ અંગે બોલીવુડ અભિનેત્રી રીચા ચઢ્ઢાએ પ્રત્યાઘાત આપ્યાં છે અને હિન્દી ફિલ્મ ઉદ્યોગને બકવાસ કહેનારાઓની ઝાટકણી કાઢી છે. એણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે આ ઉદ્યોગ અસંખ્ય લોકોને રોજગાર પૂરો પાડે છે.

રીચાએ એનાં ઈન્સ્ટાગ્રામ પર એક પત્ર મારફત આ મુદ્દે પોતાનાં વિચારો પ્રદર્શિત કર્યાં છે અને કહ્યું છે કે, ‘હિન્દી સિનેમાની ટીકા કરનારાઓનું વલણ મને જરાય ગમ્યું નથી. જેમણે ક્યારેય કોઈ ફિલ્મના સેટની મુલાકાત પણ લીધી નહીં હોય એવા લોકો બોલીવુડને બકવાસ કહે છે. મારું માનવું છે કે આ પ્રકારની બહિષ્કારની હાકલનું વલણ ફિલ્મ ઉદ્યોગમાં લોકોના રોજગાર છીનવી લેશે. ટૂંક સમયમાં જ બધું બદલાશે.’