મુંબઈમાં ડાયમંડ કંપની હરિ ક્રિષ્ના દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષમાં 3 જુનના રોજ જાણીતી ડાયમંડ કંપની હરિ ક્રિષ્ના ગ્રૂપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીની સ્થાપનાને 33 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

હરિ ક્રિષ્ના ગ્રૂપ પોતાની સામાજિક પ્રતિબદ્ધતાને બહુ સહજ ભાવે અમલમાં મૂકે છે. ગુજરાતમાં 160 ઉપરાંત માનવ નિર્મિત તળાવો બનાવવાથી માંડીને ગુજરાત તથા મુંબઈમાં વર્ષની ત્રણ રક્તદાન શિબિરના આયોજન જેવા સરાહનીય કાર્યો આ ગ્રૂપ કરે છે.

રક્તદાન શિબિરમાં કવિ તથા કટારલેખક હિતેન આનંદપરા અને કવિ સંજય પંડ્યા સહિતના અનુભવીઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. હિતેન આનંદપરાએ રક્તને લગતા કેટલાક શેર સંભળાવી હોદ્દેદારોના વાંચન પ્રેમને પણ બિરદાવ્યો હતો.સ્ટાફને જન્મદિવસે અપાતા પુસ્તકની પરંપરા માટે એમણે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. ‘સત્કર્મ કરવા માટે પણ ઈશ્વરની કૃપા જરૂરી છે ‘ એવું કવિ સંજય પંડ્યાએ જણાવ્યું હતું. ડૉ.હિમાંશુ મહેતાએ પોતાની પ્રવાહી વક્તવ્ય શૈલીમાં રક્તદાન વિશે વાત કરી હતી તો રિટેલર્સ અસોશિયેશનના અધ્યક્ષ વિરેન શાહે પણ ગ્રૂપના કાર્યને બિરદાવ્યું હતું.

ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર ઘનશ્યામભાઈ ધોળકીયાએ શરૂઆતમાં સહુ અતિથિનું સ્વાગત કર્યું અને ગ્રૂપના ન્યૂસલેટર એચકે કનેક્ટના વિશેષ અંકનું સહુએ લોકાર્પણ કર્યું હતું. ઘનશ્યામભાઈએ કહ્યું કે ઓછા ભણતર છતાં ફક્ત મહેનત અને વિઝન દ્વારા ગ્રૂપ નવાં શિખરો સર કરતું જાય છે. એમણે એનો યશ સમગ્ર સ્ટાફને આપ્યો હતો. એમના પુત્ર હિતાર્થે ગ્રૂપની સામાજિક જવાબદારી અને પ્રતિબદ્ધતા સતત જળવાઈ રહેશે એ વાત પર ભાર મૂક્યો.

ગ્રૂપનો બૅન્કીંગ વહીવટ સંભાળનાર કે.બી.રાજગોપાલનની પણ વિશેષ હાજરી હતી. ગ્રૂપના ઍડમિનિસ્ટ્રેશન તથા માર્કેટીંગના હસુ ધોળકીયા, પરાગ શાહ, મહેશ ગડાની ઉપરાંત ડાયમંડ બુર્સના ડીલર્સની પણ હાજરી હતી. રક્તદાન શિબિરમાં 605 બૉટલ રક્ત એકઠું થયું હતું.