ચૈત્રી નવરાત્રિ : અંબાજી મંદિરમાં 19 માર્ચથી દર્શન-આરતીના સમયમાં ફેરફાર

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ Ambaji Temple ખાતે ચૈત્રી નવરાત્રિનો પાવન પ્રારંભ 19 માર્ચ, 2026થી થવા જઈ રહ્યો છે. દર વર્ષે ભક્તિ અને શ્રદ્ધાભાવ સાથે ઉજવાતી આ નવરાત્રિને ધ્યાનમાં રાખીને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શન અને આરતીના સમયમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યા છે. ચૈત્ર સુદ એકમથી શરૂ થતી આ ઉજવણી ચૈત્ર સુદ આઠમ સુધી ભવ્ય રીતે ઉજવાશે.

નવરાત્રિના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત વિધિ મુજબ સવારે 07:30 કલાકે ઘટ સ્થાપન કરવામાં આવશે, જે આ ધાર્મિક ઉત્સવનો મુખ્ય આરંભ ગણાય છે. આઠ દિવસ સુધી દરરોજ સવારે 07:00 થી 07:30 સુધી માતાજીની આરતી યોજાશે, ત્યારબાદ 07:30 થી 11:30 સુધી ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે.

મધ્યાહ્ને 12:00 વાગ્યે માતાજીને રાજભોગ અર્પણ કરવામાં આવશે. રાજભોગ પછી 12:30 થી 04:30 સુધી દર્શન માટે દ્વાર ખુલ્લા રહેશે. સાંજના સમયે 07:00 થી 07:30 સુધી ફરી આરતી યોજાશે અને ત્યારબાદ 07:30 થી 09:00 સુધી ભક્તોને દર્શનનો લાભ મળશે.

ટ્રસ્ટ દ્વારા વિશેષ દિવસોને ધ્યાનમાં રાખીને પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ચૈત્ર સુદ આઠમ એટલે કે 26 માર્ચ અને ચૈત્ર સુદ પૂનમ એટલે કે 2 એપ્રિલના દિવસે સવારની આરતી 06:00 વાગ્યે યોજાશે, જેથી વધુ ભક્તો આરતીમાં જોડાઈ શકે.

નવરાત્રિ પૂર્ણ થયા બાદ 27 માર્ચથી મંદિરના દર્શન અને આરતીનો સમય ફરીથી નિયમિત સમયપત્રક મુજબ ચાલુ થઈ જશે. ટ્રસ્ટ દ્વારા તમામ માઈભક્તોને આ નવા સમયપત્રકની જાણકારી લઈ અનુકૂળ આયોજન કરવાની વિનંતી કરવામાં આવી છે, જેથી તેઓ સરળતાથી દર્શનનો લાભ લઈ શકે.

ચૈત્રી નવરાત્રિ દરમિયાન અંબાજી ખાતે ભક્તોની મોટી સંખ્યામાં આવક રહેતી હોય છે, જેના કારણે મંદિર પરિસરમાં ભક્તિપૂર્ણ માહોલ સર્જાય છે. આ વખતે પણ હજારો ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.