વોડાફોન-આઈડિયાની નવી ઓળખઃ ‘VI’ નામથી લોન્ચ કરી બ્રાન્ડ

નવી દિલ્હીઃ વોડાફોન-આઇડિયા એક નવી બ્રાન્ડનેમ સાથે ઓળખાશે. હવે એ VI (વી) કહેવામાં આવશે. વોડાફોનનો V અને આઈડિયાનો I. કંપનીએ એક ઇવેન્ટ દરમ્યાન તેની આ નવી બ્રાન્ડનેમ અને લોગોની જાહેરાત કરી છે. ટેલિકોમ ઓપરેટર બેલિગુર્ડે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા કંપનીની રીબ્રાન્ડિંગની જાહેરાત કરી છે. VI બ્રાન્ડની નજર હવે ભવિષ્ય પર છે અને કંપની ગ્રાહકોની સાથે નવી વ્યૂહરચના ઘડી કાઢશે. બંને બ્રાન્ડસનું જોડાણ વિશ્વનું સૌથી મોટું ટેલિકોમ જોડાણ છે, એમ VIએ નિવેદનમાં જણાવ્યું હતું.    

વોડાફોન-આઇડિયા એ બ્રિટનની વોડાફોન અને ભારતની આઇડિયા સેલ્યુલર વચ્ચેનું સંયુક્ત સાહસ છે. કંપનીએ સંયુક્ત સાહસ જાળવી રાખતાં વિસ્તરણ કરવા માટે ઈક્વિટી અને દેવાં સાધનો થકી 25,000 કરોડ ઊભા કરવાની યોજનાને મંજૂરી આપી છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા ટેલિકોમ ઓપરેટરોનાં એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR)ના બાકી લેણાં મુદ્દે 10 ટકા ચુકવણી કરવા અને આગામી નાણાકીય વર્ષથી બાકીનાં નાણાની 10 સમાન હપ્તામાં ચુકવણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. જોક ફંડ એકત્ર કરવાવાળી કંપની VIL હાલમાં નાણાકીય સંકટનો સામનો કરી રહી છે, કેમ કે ગ્રાહકોદીઠ સરેરાશ આવક (ARPU) અને AGRના બાકી લેણાં 50,000 રૂપિયા બાકી છે.

ગયા શુક્રવારે વોડાફોન આઇડિયાએ કહ્યું હતું કે કંપનીના બોર્ડે ઈક્વિટી અને દેવાં સાધનો દ્વારા નાણાં ઊભાં કરવાની મંજૂરી આપી દીધી છે અને કુલ ફંડ 25,000 કરોડ રૂપિયાથી વધુ નહીં હોય.

વળી, કંપની GDR, ADR અને FCCB, ડિબેન્ચર અથવા વોરન્ટ દ્વારા ફંડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ દરખાસ્તને કંપનીની 30 સપ્ટેમ્બર, 2020એ થનારી વાર્ષિક સામાન્ય સભામાં મૂકવામાં આવશે.

કંપનીએ સુપ્રીમ કોર્ટ દ્વારા બાકી લેણાંની માગ કર્યા પછીની જોગવાઈ કર્યા બાદ માર્ચ, 2020માં 73,878 કરોડનું ચોખ્ખું નુકસાન કર્યું છે, જે કોઈ પણ ભારતીય કંપની કરતાં સૌથી વધુ છે. કંપનીએ જૂન ત્રિમાસિક ગાળામાં AGRની માટે ચુકવણીની જોગવાઈ કર્યા પછી 25,460 કરોડનું નુકસાન કર્યું હતું.

સુપ્રીમ કોર્ટે ટેલી કંપનીઓને પાછલાં બાકી કુલ સંયુક્ત લેણાં 1.6 લાખ કરોડની 20 વર્ષમાં ચુકવણી કરવાની માગને ફગાવતાં 10 વર્ષમાં ચુકવણી કરવાની મંજૂરી આપી હતી.

આ મહિનાના પ્રારંભે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી કેટલાક વિશ્લેષકોનું માનવું હતું કે વોડાફોન-આઇડિયાને 10 વર્ષોમાં બાકી લેકણાંની ચુકવણી માટે સંઘર્ષ કરવો પડશે. જોકે કોર્ટે ટેલિકોમ કંપનીઓને સરકારનાં બાકી લેણાં ચૂકવવા માટે 10 વર્ષનો સમયગાળો આપ્યો છે.