1 એપ્રિલથી 10 બેન્કોનો વિલયઃ ગ્રાહકો માટે બદલાશે બેન્કિંગ

નવી દિલ્હીઃ દેશભરમાં 21 દિવસના લોકડાઉન છતાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નિર્ણય કર્યો છે કે બેન્ક એની વિલીનીકરણ યોજના મુજબ આગળ ધપશે, જેમાં 10 જાહેર ક્ષેત્રની બેન્કો વિલીનીકરણ થઈને ચાર મોટી બેન્કો બનશે.  પહેલી એપ્રિલથી દેશમાં મેગા બેન્ક મર્જરનો અમલ થવાનો છે. આ મેગા મર્જર હેઠળ ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાનું પંજાબ નેશનલ બેન્ક (PNB)માં, સિન્ડિકેટ બેન્કનું કેનેરા બેન્કમાં, આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કનું યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં અને અલાહાબાદ બેન્કનું ઇન્ડિયન બેન્કમાં વિલીનીકરણ થશે.

આ વિશે રિઝર્વ બેન્ક દ્વારા નોટિફિકેશન જારી થઈ ગયું છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે એક એપ્રિલ, 2020થી અલાહાબાદ બેન્કની બધી શાખાઓ ઇન્ડિયન બેન્કની શાખાઓ તરીકે કામ કરશે. આ જ રીતે ઓરિયેન્ટલ બેન્ક ઓફ ઇન્ડિયા અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખાઓ પંજાબ નેશનલ બેન્કના રૂપમાં, સિન્ડિકેટ બેન્કની શાખાઓ કેનેરા બેન્કની શાખાઓ તરીકે અને આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કની શાખાઓ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના રૂપમાં કામ કરશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારામનના ગુરુવારના નિવેદન પછી રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરી હતી કે મેગા બેંકના એકત્રીકરણ યોજના ટ્રેક પર છે અને એ 1 એપ્રિલથી જ અમલમાં આવશે.

કેટલીક શાખાઓ બંધ થવાની શક્યતા

બેન્કોના વિલીનીકરણને લીધે બેન્કોની કેટલીક શાશાઓ બંધ થવાની શક્યતાઓ છે. આ એવી પરિસ્થિતઓમાં થશે, જેમાં વિલય થનારી બેન્ક અને મુખ્ય બેન્કની શાખા પાસે-પાસે હોય.

IFSC અને MICR કોડ બદલાઈ જવાની શક્યતા

જે બેન્કોનું વિલીનીકરણ થશે, એમની અંડરટેકિંગ્સ એ બેન્કોને હસ્તગત કરનારી બેન્કો એટલે મુખ્ય બેન્કને ટ્રાન્સફર થઈ જશે. આમાં બેન્કનો પૂરો બિઝનેસ, હક, ટાઇટલ, ક્લેમ, લાઇસન્સ, મંજૂરીઓ વગેરે અને અન્ય પ્રિવિલેજીસ અને બધી મિલકત, બધાં બોરોંગ્સ, લાયાબિલિટી અને ઓબ્લિગેશન્સ સામેલ છે. આવામાં એ પણ સંભાવના છે કે વિલય થવાવાળી બેન્કોની શાખાઓના IFSC કોડ, બ્રાંચ કોડ  અને MICR કોડ બદલાઈ જાય.

એકાઉન્ટ નંબર અને કસ્ટમર IDમાં પણ પરિવર્તન

આમાં મર્જ થનારી બેન્કોના ગ્રાહકોને મુખ્ય બેન્ક મુજબ એક નવું એકાઉન્ટ નંબર, અને કસ્ટમર ID મળી શકે છે. ATM, નેટ બેન્કિંગ વગેરેમાં પણ પરિવર્તન થવાની શક્યતા છે.