સીધા કરવેરાની વસૂલાતમાં 30 ટકાનો વધારો

નવી દિલ્હીઃ દેશમાં ટેક્સ વસૂલાત મોરચે સારા સમાચાર છે, કેમ કે સીધા વેરાની વસૂલાતમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2022.23ની ગ્રોસ સીધા વેરાની વસૂલાત 17 સપ્ટેમ્બર સુધી 8.36 લાખ કરોડ હતી, જે ગયા વર્ષના સમાન ગાળાની તુલનાએ 30 ટકા વધુ છે, નાણાં મંત્રાલયે આ માહિતી આપી હતી. નાણાકીય વર્ષ 2022-23 માટે ગ્રોસ સીધા કરવેરાની વસૂલાત રૂ. 8.36,225 કરોડ રહી છે, જે ગયા વર્ષના રૂ. 6,42,287 કરોડની સરખામણીએ 30 ટકા વધુ છે.

વર્ષ 2022-23ના રૂ. 8.36 લાખ કરોડના સીધા વેરાની વસૂલાતમાં રૂ. 4.36 લાક કરોડ કોર્પોરેટ ઇન્કમ ટેક્સ અને રૂ. 3.98 લાખ કરોડ વ્યક્તિગત ઇન્કમ ટેક્સથી વસૂલાત થઈ છે. આ ટેક્સમાં સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ સામેલ છે, એમ નાણાં મંત્રાલયે આપેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

ચાલુ નાણાં વર્ષમાં 17 સપ્ટેમ્બર સુધી નેટ ડિરેક્ટ વેરાની વસૂલાત રૂ. 7.01 લાખ કરોડ હતી, જે ગયા વર્ષના સમાન ગાળાની તુલનાએ 23 ટકા વધુ છે. વર્ષ 2022-23માં 17 સપ્ટેમ્બર સુધી એડવાન્સ ટેક્સ કલેક્શન રૂ. 2.95 લાખ કરોડ હતી, જે ગયા વર્ષના સમાન ગાળાની તુલનાએ 17 ટકા વધુ છે.

17 સપ્ટેમ્બર સુધુ રૂ. 1,35,556 કરોડનાં રિફંડ જારી કરવામાં આવ્યાં છે, જે ગયા વર્ષની તુલનાએ 83 ટકા વધુ છે. શનિવાર સુધી આશરે 93 ટકા ITRની પ્રોસેસ કરવામાં આવી હતી. જેથી વર્ષ 2022-23માં જારી કરવામાં આવેલા રિફંડની સંખ્યા આશરે 468 ટકા વધારો થયો છે.