નવરાત્રિનો પ્રારંભ થતા યાત્રાધામોમાં ભક્તોની ભીડ જામી

આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે. નવરાત્રિનો પ્રારંભ થતા જ યાત્રાધામોમાં માનવ મહેરામણ ઉમટ પડ્યું છે. પાવાગઢથી લઈને અંબાજી સુધી દરેક યાત્રાધામોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ માતાજીના દર્શને ભક્તો ઉમટ્યા છે. મોટીસંખ્યામાં ભક્તો પાવાગઢ દર્શને ઉમટ્યા છે. વહેલી સવારથી ઉડન ખટોલા શરૂ કરી દેવાયો છે. ચાંપાનેરથી માચી સુધી જવા ST સેવા વધારાઈ છે. તેમજ અનિચ્છનીય ઘટના ન બને માટે પોલીસનો બંદોબસ્ત છે.

આસોની નવરાત્રિ આવી ગઈ અને મા આધ્ય શક્તિના નોરતાની શરૂઆત થઇ ત્યારે શક્તિપીઠ એવા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ નવરાત્રિની શરૂઆતના પ્રથમ દિવસે ભક્તોની ભીડ જોવા મળી છે. શારદીય નવરાત્રિનો પ્રારંભ થતા રાજ્યભરના માતાજીના મંદિરોમાં ભક્તો ભીડ જામી છે. વહેલી સવારથી ભક્તો દર્શન કરવા ઉમટ્યા છે. પ્રથમ નોરતે મંદિરોમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન થયુ છે. અંબાજી, પાવાગઢ, ચોટિલા સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે.

આ વર્ષે ખુબજ વરસાદ હોવાથી અને નવરાત્રિ દરમિયાન પણ વરસાદ રહેવાની આગાહીઓ હોવાથી ભક્તોની હાજરી ઓછી રહે એવી શક્યતાઓ વચ્ચે પ્રથમ દિવસે આકાશ સ્વચ્છ અને વરસાદની શક્યતા ના હોઈ નવરાત્રિના પહેલા દિવસે વહેલી સવારથી જ ભક્તોની ભીડ દેખાવા લાગી છે અને સવારે મંગળા આરતીના દર્શનથી જ ભક્તો પાવાગઢ ડુંગર પર ચઢવાની શરૂઆત કરી દીધી હતી. જોકે આ વર્ષે ઉડન ખટોલા દ્વારા સવારે વહેલા પોતાની સેવા શરૂ કરી દીધી હતી અને વહેલી સવારથી ભક્તો પગથિયાં ચઢીને પણ માતાજીના દર્શન માટે દોડ લગાવી હતી.