ગુજરાત સરકારના નવા મંત્રીઓને ખાતાની ફાળવણી

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળના વિસ્તરણ બાદ આજે શપથવિધિ પછી તરત જ સ્વર્ણિમ સંકુલ-1ના કેબિનેટ હોલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં તમામ મંત્રીઓને તેમના ખાતા ફાળવવામાં આવ્યા છે. તેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી : ભૂપેન્દ્ર પટેલ (સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ, આયોજન, બિન-નિવાસી ગુજરાતીઓનો વિભાગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન, બંદરો અને મૂડી પ્રોજેક્ટ્સ, નર્મદા, કલ્પસર, ખાણ અને ખનીજ, પોલીસ આવાસ, માહિતી અને પ્રસારણ, તમામ નીતિઓ અને અન્ય મંત્રીઓને ફાળવવામાં ન આવેલા તમામ વિષયો.)

નાયબ મુખ્યમંત્રી : હર્ષ સંઘવી (ગૃહ, પોલીસ હાઉસિંગ, જેલ, બોર્ડર સિક્યુરિટી, ગ્રામ રક્ષક દળ, સિવિલ ડિફેન્સ, ટ્રાન્સપોર્ટ, કાયદો, સ્પોર્ટ્સ, MSMe વિભાગ, પ્રવાસન અને યાત્રાધામ, સિવિલ એવિએશન)
કેબિનેટ મંત્રી

-ઋષિકેશ પટેલ (ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ્ય આવાસ, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતો.)
– જીતુ વાઘાણી (કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ગૌ સંવર્ધન.)
– કુંવરજી બાવળિયા (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ.)
– કનુ દેસાઈ (નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ)
– નરેશ પટેલ (આદિજાતિ વિકાસ, ખાદી, ગ્રામ્ય ઉદ્યોગો અને ગ્રામ્ય આવાસ.)
– અર્જુન મોઢવાડિયા (વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી.)
– ડૉ. પ્રદ્યુમન વાજા (સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ.)
– રમણ સોલંકી (અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો.)

રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)

-ઈશ્વર પટેલ (પાણી પુરવઠા અને જળસંપત્તિ)
-પ્રફુલ પાનસેરિયા (આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ)
-મનીષા વકીલ (મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા)

રાજ્ય કક્ષાના મંત્રી

– પરસોત્તમ સોલંકી (મત્સ્યોદ્યોગ)
– કાંતિલાલ અમૃતિયા (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર)
– રમેશ કટારા (કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌ સંવર્ધન)
– દર્શના વાઘેલા (શહેરી વિકાસ આવાસ)
– કૌશિક વેકરિયા (કાયદો અને ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો)
– પ્રવીણ માળી (વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, પરિવહન)
– જયરામ ગામિત (રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગો, મીઠું – ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન)
– ત્રિકમ છાંગા (ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ)
– કમલેશ પટેલ (નાણાં, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ)
– સંજયસિંહ મહિડા (મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ્ય આવાસ, ગ્રામ વિકાસ)
– પી.સી. બરંડા (આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો)
– સ્વરૂપજી ઠાકોર (ગ્રામ વિકાસ અને ખાદી ઉદ્યોગ)
– રિવાબા જાડેજા (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ)

બેઠકમાં રાજ્ય સરકારના અભિગમ અંગે પણ અભિનંદન પાઠવવામાં આવ્યા

ખાતાની ફાળવણી બાદ ગુજરાતના નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક પૂર્ણ થઈ છે. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમાં થયેલી ચર્ચા અને કાર્યવાહીની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘બેઠકમાં નવા મંત્રીમંડળના સભ્યોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને તેમને લોકોના સમાજ ઉપયોગી કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા તેમજ ગરીબોના ઘરમાં દીપ પ્રગટાવવાના એટલે કે વિકાસલક્ષી કામગીરી કરવાના હેતુથી કામ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્ય સરકારના અભિગમ અંગે પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તથા પૂર્વ મંત્રીઓએ કરેલી કામગીરી બદલ તેમનો આભાર માનવામાં આવ્યો હતો.

આગામી મહત્ત્વના કાર્યક્રમો પર પણ ચર્ચા થઈ

નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠકમાં આગામી મહત્ત્વના કાર્યક્રમો પર પણ ચર્ચા થઈ હતી. જેમાં 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર એકતા પરેડના આયોજનની સમીક્ષા કરવામાં આવી. આ એકતા પરેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. આ સાથે 2030માં અમદાવાદ ખાતે કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે લીલી ઝંડી મળવા બદલ પણ સરકારને અભિનંદન આપવામાં આવ્યા. આમ, પ્રથમ કેબિનેટ બેઠક નવા મંત્રીઓને માર્ગદર્શન આપવા, પૂર્વ મંત્રીઓનો આભાર માનવા અને આગામી મુખ્ય આયોજનો પર ધ્યાન કેન્દ્રિત કરવાના મુદ્દાઓ સાથે સમાપ્ત થઈ હતી.

રાજ્ય કક્ષાના 13 મંત્રીનો સમાવેશ થાય છે

નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા કેબિનેટ કક્ષાના 8, રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) 3 અને રાજ્ય કક્ષાના 13 મંત્રીનો સમાવેશ થાય છે.