ભારતથી ઇન્ડોનેશિયા જતી એર ઇન્ડિયાની બીજી ફ્લાઇટને તેનો રૂટ ડાયવર્ટ કરવો પડ્યો. આ ફ્લાઇટને અધવચ્ચે જ નવી દિલ્હી પરત ફરવું પડ્યું. વાસ્તવમાં, ઇન્ડોનેશિયામાં બાલી એરપોર્ટ નજીક જ્વાળામુખી ફાટવાના કારણે એર ઇન્ડિયાની ફ્લાઇટને દિલ્હી પરત ફરવું પડ્યું. તે રાજધાનીથી બાલી જઈ રહી હતી.
એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ફ્લાઇટ સુરક્ષિત રીતે દિલ્હી પરત ઉતરી ગઈ હતી અને તમામ મુસાફરોને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “18 જૂનના રોજ, બાલી એરપોર્ટ નજીક જ્વાળામુખી ફાટવાના અહેવાલોને કારણે દિલ્હીથી બાલી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2145 ને સલામતીના દૃષ્ટિકોણથી દિલ્હી પરત ફરવાની સલાહ આપવામાં આવી હતી.”
એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે મુસાફરોને હોટેલમાં રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. આ સાથે મુસાફરોને કોઈપણ વધારાના શુલ્ક વિના ટિકિટ રદ કરવા અથવા મુસાફરીનું સમયપત્રક ફરીથી નક્કી કરવા પર સંપૂર્ણ રિફંડની સુવિધા પણ આપવામાં આવી રહી છે.
નોંધયની છે કે તાજેતરમાં જ અમદાવાદ એરપોર્ટથી એર ઈન્ડિયાનું પ્લેન ટેક ઑફ થયાના થોડીક સેકન્ડોમાં ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 242 મુસાફરો સવાર હતાં. જેમાંથી 241 લોકોના મોત થયા છે. આ ઘટનાને સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે. એરલાઈન્સ પર પણ સવાલ ઉઠી રહ્યાં છે. એવામાં એર ઈન્ડિયાને લઈ કંઈક ને કઈંક મુશ્કેલીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે.
