મખાના: આજની પેઢી માટે સુપર-હેલ્ધી ફૂડ

જ્યારથી લોકો હેલ્થ પ્રત્યે જાગ્રત થવા લાગ્યા છે ત્યારથી તંદુરસ્તી માટે અસરકારક, પણ હજી સુધી બહુ જાણીતી ન બની હોય એવી કેટલીક ખાદ્ય સામગ્રીનો ઉપયોગ પણ વધી રહ્યો છે. ક્યારેક એવું પણ બને છે કે કોઈ હેલ્ધી ફૂડનું મહત્ત્વ ન જાણતાં છતાં પણ અન્ય વ્યક્તિથી પ્રેરાઈને પણ આપણે અમુક પ્રકારનાં ખાદ્યોથી આકર્ષાઈએ છીએ. જો કે કોઈ પણ પ્રકારના આહારનો સ્વીકાર કરતાં પહેલાં આપણને એની ચોક્કસ માહિતી હોય એ જરૂરી છે, જેથી આપણા માટે આપણે એની સ્વીકાર્યતા કે અસ્વીકાર્યતા માટેનો નિર્ણય લઈ શકીએ.

મખાના એ આ પ્રકારનું જ એક ખાદ્ય છે, જે હવે ખૂબ લોકપ્રિય પણ થઈ રહ્યું છે. એનું કારણ એ છે કે એ હેલ્ધી હોવાની સાથે સાથે સ્વાદિષ્ટ પણ બની શકે છે. બાળકોથી લઈને દરેક ઉંમરની વ્યક્તિ એને પસંદ કરે છે. હવે તો મખાના ઘણી ફ્લેવર્સમાં પૉપકૉર્નની જેમ જ માર્કેટમાં ઉપલબ્ધ છે. કેટલાક લોકો એના હેલ્થ બેનિફિટ્સ વિશે જાણતા થયા છે તો હજી ઘણા એનાથી અજાણ પણ છે. તો મખાના એ શું છે? એ શેમાંથી બને છે? તેમ જ એમાં કયા પ્રકારનાં ન્યુટ્રિયન્ટ્સ રહેલાં છે એ વિશે જાણીએ.

મખાના એ એક પ્રકારના કમળ (વૉટર લિલી)માંથી ઉત્પ્ન્ન થતાં બીજ છે. આ બીજને પાણીમાંથી ચાળીને બહાર કાઢી એને સૂકવવામાં આવે છે. આ સુકાયેલાં સીડ્સને ત્યાર બાદ શેકવામાં આવે છે. પૉપકૉર્નની જેમ એ ફૂલીને મોટાં થાય છે અને એ રીતે આપણા અત્યારના વન ઑફ ધ ફેવરિટ સ્નૅક્સ  મખાના તૈયાર થાય છે. આ સીડ્સ મુખ્યત્વે વરસાદની સીઝનમાં એટલે કે ઓગસ્ટથી ઑક્ટોબરમાં તૈયાર થાય છે. આ પ્રકારનાં કમળ તળાવની અંદરના ભાગમાં ઊગે છે. આપણે ત્યાં એ ફૂલ મોટા ભાગે બિહાર અને દેશના પૂર્વીય તથા દક્ષિણ તરફના ભાગોમાં ઊગે છે. એના બીજને ફોક્સ નટ્સ  તરીકે પણ ઓળખવામાં આવે છે.

મખાનાના પોષણકીય ફાયદા જોઈએ તો એ પ્રોટીનનો ખૂબ સારો સ્રોત છે. આ ઉપરાંત, એમાં ફાઈબર્સ અને કૅલ્શિયમ-મૅગ્નેશિયમ જેવાં મિનરલ્સ સારા પ્રમાણમાં રહેલાં છે. મખાનાનો સમાવેશ ઓછી કૅલરી ધરાવતા તેમ જ ઓછી ગ્લાયસેમિક ઈન્ડેક્સ ધરાવતા નાસ્તામાં થતો હોવાથી વજન ઘટાડવા માટે તેમ જ બ્લડ સુગર કન્ટ્રોલમાં રાખવા માટે પણ સ્નૅક્સમાં એનું સેવન કરવામાં આવે છે. મખાનાની અંદર ફ્લેવેનોઈડ્સ નામનું ઍન્ટિઑક્સિડન્ટ છે, જે શરીરમાં રહેલી પેશીઓને નુકસાન થતું અટકાવવાનું કાર્ય કરે છે. એમાં સોડિયમનું પ્રમાણ ઓછું છે તો પોટેશિયમ સારી માત્રામાં છે આથી બ્લડ પ્રેશર ધરાવતી વ્યક્તિ માટે પણ મખાના એ આદર્શ નાસ્તો સાબિત થઈ શકે. ગ્લુટેન-ફ્રી હોવાથી એની એલર્જી હોય એ લોકો પણ મખાનાનું સેવન કરી શકે છે.

આ ઉપરાંત, મખાનાનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો એ વધતી ઉંમરની અસરને રોકવામાં મદદરૂપ થઈ શકે છે. ઔષધીય ગુણોથી ભરપૂર મખાનાનો ઉપયોગ કેટલીક બીમારીના ઉપચારમાં પણ થાય છે. આયુર્વેદ અનુસાર મખાનાનું સેવન કરવાથી પુરુષોની સ્પર્મ ક્વૉલિટીમાં સુધારો થાય છે. એ ખાવાથી ડાયેરિયા પણ કન્ટ્રોલ થાય છે. કૅલ્શિયમનું સારું પ્રમાણ હોવાને કારણે મખાના હાડકાંની તંદુરસ્તી માટે પણ ફાયદેમંદ છે.

આટલા ગુણ હોવા છતાં પણ કમનસીબે બધા લોકો એ ખરીદી શકે એમ નથી. એનું મુખ્ય કારણ છે સૂકા મેવા જેવો એનો ભાવ! મૂળ તો ઓછું ઉત્પાદન તેમ જ એને ઉગાડવામાં અને ત્યાર બાદ એની સૂકવવાની તથા તૈયાર કરવાની પ્રોસેસમાં લાગતો ખર્ચ એના વધુ ભાવનું કારણ છે. આ ઉપરાંત, ઉત્પાદનની સામે હવે એની ડિમાન્ડ વધી રહી છે અને પરિણામે એના ભાવ પણ વધી રહ્યા છે. ઘણા પ્રાંતોમાં મખાના ઉપવાસમાં લેવાતા હોય છે. એમાંથી વિવિધ પ્રકારની મીઠાઈ અને નમકીન બને છે. ઉત્તર પૂર્વીય ભાગોમાં મખાનાનું ચલણ વધારે છે. હવે ગુજરાત-મહારાષ્ટ્ર અને દેશના બીજા વિસ્તારોમાં મખાનાનો ઉપયોગ એક આદર્શ તેમ જ હેલ્ધી નાસ્તા તરીકે થાય છે.

અલબત્ત, એ પણ યાદ રાખવા જેવું છે કે મખાનાનું સેવન કેટલીક બીમારીમાં હાનિકારક પણ છે. એનું સેવન કબજિયાત તથા પેટ ફૂલવા જેવી તકલીફ ઊભી કરી શકે છે. મખાના મૂળ તો કમળનાં બીજ છે, જેમાં કેટલીક ભારે ધાતુ (એલિમેન્ટ્સ) હોય છે. આ સ્થિતિમાં મખાના નુકસાન કરી શકે છે. એમાં ફાઈબર તેમ જ પ્રોટીનની માત્રા વધુ હોવાને કારણે પચવામાં સમય વધારે લાગે છે આથી જેની પાચનશક્તિ નબળી હોય એમના માટે પણ મખાના હિતાવહ નથી.

ઉપરાંત, કિડની સ્ટોનની સમસ્યા ધરાવતા લોકોએ પણ મખાના ન લેવા, કારણ કે એમાં કૅલ્શિયમ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. શરીરમાં કૅલ્શિયમનું પ્રમાણ વધતાં સ્ટોનની સાઈઝ વધી શકે છે. મખાનામાં સ્ટાર્ચ પણ સારા પ્રમાણમાં હોય છે એટલે જેમને એલર્જીની સમસ્યા હોય એમને વધુપડતા મખાના એલર્જિક રિઍક્શન કરાવી શકે છે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)