શ્રીમદ્ રાજચંદ્ર મિશન: રજત મહોત્સવ

શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુર સ્થાપનાના 25 વર્ષની પૂર્ણાહૂતિ પ્રસંગે 29 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમ્યાન રજત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રજત મહોત્સવની શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં અત્યંત ધર્મોલ્લાસથી ઉજવણી કરવામાં આવી.

આ નિમિતે બાળકોમાં મુલ્યસિંચન અને સ્વવિકાસ માટેનો કેમ્પ ‘સ્પિરિચ્યુઅલટચ રિટ્રીટ’ અને ત્યારબાદ યુવાઓ માટે એક દિવસ સ્પોર્ટસ અને બીજા દિવસે સમાજ સેવા એવા અનોખા સંગમસમ દ્વિદિવસીય ‘એસ.આર.એમ.ડી.યુથ ફેસ્ટીવલ’ યોજવામાં આવ્યો હતો.

જેમાં વિશ્વભરના ૧૫ દેશોના ૨૦૦ શહેરોમાંથી ૧૫૦૦ યુવાઓએ જોશભેર ભાગ લીધો હતો. ફુટબોલ, હ્યુમન ફુટબોલ વગેરે રમતો, મેડિટેશન, યોગા અને સર્જનાત્મક રમતોથી યુવાઓએ ખૂબ આનંદ માણ્યો.

બીજા દિવસે તેમણે હોસ્પિટલમાં દર્દીઓની સેવા, સ્થાનિક શાળાઓનું સુશોભીકરણ, આંગણવાડીમાં બાળકો સાથે મોજ મજા, મહિલા ગૃહ ઉધોગમાં નાસ્તા બનાવવા, સ્થાનિક વયસ્કો માટે આનંદમેળા, જીવમૈત્રીધામમાં પ્રાણીઓની સંભાળ, રકતદાન શિબિર જેવા ૭૦૦૦ કલાકોના અનેક સેવાકાર્યો દ્વારા ૧૦,૦૦૦ જીવોને પ્રેમનો સ્પર્શ આપ્યો હતો !

રજત મહોત્સવની મંગળ શરૂઆતમાં શ્રીમદ રાજચંદ્રજીની વિશ્ર્વની સૌથી વિરાટ પ્રતિમાજીને મહામસ્તકાભિષેક કરાયો હતો. આ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ ઉજવણીઓમાં સહભાગી થયા હતા.

આ આનંદોત્સવમાં ઉમેરો થયો જ્યારે પૂજય ગુરુદેવને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ-લંડનનું સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યું !

શ્રીમદ્ રાજચંદ્રજી અને મહાત્મા ગાંધીજીના આઘ્યાત્મિક સંબંધો પર આધારિત નાટક યુગપુરુષ-મહાત્માના મહાત્માને ૭ ભાષાઓમાં, ૮ ટીમ દ્વારા, વિશ્વભરમાં ૩૧૨ સ્થળોએ ૧૦૬૦થી વધુ નાટયપ્રયોગો અને વિશ્વભરમાં ટીવી પર પ્રસારણ દ્વારા વિશ્ર્વમાં સૌથી વધુ જોવાયેલા નાટકના નિર્માતા તરીકે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરનો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ-લંડનનાં રેકોર્ડસમાં સમાવેશ થયો છે !

પૂજય ગુરુદેવ સફળ જીવરાશિ પ્રત્યેના પ્રેમનાં બીજ રોપી, તેને પોષણ આપી રહ્યા છે. વિશ્વભરમાં શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર દ્વારા આરોગ્ય, શિક્ષણ, પ્રાણી, પર્યાવરણ જેવા અનેક ક્ષેત્રે ૭૫થી વધુ સેવા પ્રોજેકટસ કાર્યરત છે.

તેના મહત્તમ પ્રયત્નો દક્ષિણ ગુજરાતના ધરમપુર-કપરાડાના જરૂરિયાતમંદ પ્રજાના ઉત્કર્ષ માટે ચાલી રહ્યા છે.