આયોજન એકદમ ચોક્સાઈભર્યું કરો, પણ….

હું ફાઇનાન્શિયલ પ્લાનર હોવાના નાતે અલગ અલગ લોકો કેટલાક સામાન્ય પ્રશ્નો વારંવાર પૂછતા હોય છેઃ નિવૃત્તિ વખતે મારી પાસે કેટલું ભંડોળ હોવું જોઈએ? સારામાં સારું મ્યુચ્યુઅલ ફંડ કયું? આપણા અર્થતંત્રની હાલની સ્થિતિ વિશે તમને શું લાગે છે? અત્યારે રોકાણ કરવા માટે સૌથી વધુ સારું સાધન કયું? કાનૂની રીતે લાગુ પડે એવી વસિયતનામું કેવી રીતે બનાવવું? આવા સવાલોના જવાબ આપવાનું સાવ સહેલું નથી. દરેકને એની પરિસ્થિતિ અનુસાર જવાબ આપવાના હોય છે. બધાને લાગુ પડે એવા જવાબ ઘણા ઓછા હોય છે. એમાંય મોટી વાત તો એ છે કે ફાઇનાન્શિયલ પ્લાનરને પણ આ જગતના પાલનહારના પ્લાન વિશે કંઈ ખબર હોતી નથી. આથી ચોક્કસ જવાબ આપવાનું શક્ય હોતું નથી.

આયોજન એકદમ ચોક્સાઈભર્યું કરો, પણ તેના પરિણામની ચિંતા કરવાને બદલે એ વાત ભગવાન પર છોડી દો.

જો અને તોનું મહત્ત્વ

તમે સારામાં સારું નાણાકીય આયોજન કર્યું હોય, પરંતુ જીવનની વાસ્તવિકતા કંઈક અલગ હોય છે. આયોજનના અમલમાં ઘણા ‘જો’ અને ‘તો’ આવતા હોય છે. આખરે તો બધું ‘બિગ બોસ’ – ઈશ્વરનું ધાર્યું જ થાય છે. જોકે, તેનો અર્થ એવો નથી કે આપણે નાણાકીય આયોજન કરવું જોઈએ નહીં. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે આયોજન કરવાનું આપણા હાથમાં છે અને આપણો અધિકાર છે. તેનો અમલ અને નિયમિતપણે સમીક્ષા પણ આપણે જ કરવાનાં હોય છે, પરંતુ તેનું પરિણામ આપણા હાથની વાત નથી. એ તો ઈશ્વર જ નક્કી કરશે.

અહીં ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો અતિ પ્રચલિત ૪૭મો શ્લોક ધ્યાનમાં આવે છે.

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन |

मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि || 47 ||

આપણી સર્વાંગી સંપત્તિ

સંપત્તિનાં ખરાં ફળનો આનંદ માણવા માટે આપણે સર્વાંગી સંપત્તિનો વિચાર કરવો રહ્યો. ભગવાને આપણને અલગ અલગ પ્રકારની સંપત્તિ આપી છે. પહેલી છે શારીરિક સંપત્તિ એટલે કે આપણું આરોગ્ય. બીજી સંપત્તિ એટલે સામાજિક સંપત્તિ, જેમાં સમાજ, પરિવાર, મિત્રો, સહયોગીઓ, વગેરે સાથેના આપણા સંબંધોની વાત છે અને ત્રીજી છે ભાવનાત્મક સંપત્તિ, જે આપણા મન પર આધારિત છે. ચોથી સંપત્તિ આર્થિક સંપત્તિ હોય છે. આ ચારે પ્રકારની સંપત્તિનો સમન્વય, સુમેળ થવો જરૂરી છે. તેમાંથી એક પણ ગેરહાજર હશે તો બાકીની ત્રણ સંપત્તિનો આનંદ નહીં આવે.

શાસ્ત્રોમાં સંપત્તિની વ્યાખ્યા આપણી નજરમાં છે તેના કરતાં ઘણી ઉંડી છે. આપણે બૃહદ્ ચિત્રને ભૂલી જઈને ફક્ત નાણાકીય સંપત્તિ પાછળ દોડ્યે રાખીએ છીએ. તેને કારણે દુઃખ આપણો પીછો છોડતું નથી. આપણી દૃષ્ટિ વિશાળ બને અને આપણે ઈશ્વરે આપેલી સંપત્તિનો વિચાર કરીએ તો માનસિક શાંતિ અનુભવાશે. મન પ્રસન્ન બનશે. તમે ક્યાંક ફરવા ગયા હો ત્યાંના કુદરતી સૌંદર્યને જોઈને તમને થયેલો હર્ષ યાદ કરો. પ્રભુએ રચેલા આ અદભુત વિશ્વને નિહાળીને આપણામાં નમ્રતા, અહોભાવ જાગે છે અને તેને પગલે મનમાં શીતળતા અને પ્રસન્નતા જન્મે છે. આયોજન એકદમ ચોક્સાઈભર્યું કરો, પણ તેના પરિણામની ચિંતા કરવાને બદલે એ વાત ભગવાન પર છોડી દો. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા દૃઢ બનાવતાં જાઓ. આપણે બીજું કરી પણ શું શકીએ છીએ?

હું એ કરીશ જે તું કરી શકતો નથી

મત્સ્યભેદનની પાછલી રાતે થયેલો કૃષ્ણ અને અર્જુનનો સંવાદ ખરેખર રસપ્રદ છેઃ

કૃષ્ણઃ હે અર્જુન, તું પાણીના કુંડ નજીક જાય ત્યારે આંખો બંધ કરીને ચિત્તને શાંત કરજે.

અર્જુનઃ સારું

કૃષ્ણઃ ત્યાર બાદ તુલા પર ચડીને સંતુલન જાળવવાનો પ્રયાસ કરજે.

અર્જુનઃ સારું

કૃષ્ણઃ પછી મનને શાંત કરીને લક્ષ્ય લેજે.

અર્જુનઃ સારું

કૃષ્ણઃ લક્ષ્ય લીધા બાદ તીર ચલાવજે.

અર્જુનઃ આ બધું હું કરીશ તો તમે શું કરશો?

કૃષ્ણઃ તું જે કરી શકતો નથી એ હું કરીશ.

અર્જુનઃ હું જગતનો ઉત્તમ બાણાવળી છું. એવું તે શું છે જે તમે કરી શકશો, પણ મારાથી નહીં થાય?

કૃષ્ણઃ તું લક્ષ્ય વીંધતો હશે એ વખતે હું કુંડમાં પાણીને સ્થિર રાખીશ, જે તું નહીં કરી શકે.

આ સંવાદ પરથી કહી શકાય કે ભગવાનમાં શ્રદ્ધા રાખવી. આપણા માટે જે ઉત્તમ છે એ જ ભગવાન કરશે. આથી ધીરજ પણ રાખવી.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)