કોરોનાના પડકારમાં પણ છૂપાયેલી છે અનેક તકો…

કોરોનાને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વ એક ભયંકર આર્થિક મંદી તરફ સરકી રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે. ચારેકોર મંદીના ભણકારા વાગી રહયા છે. આફત જરૂર છે, પણ આફતને ય અવસરમાં પલટી શકાય છે એ વાત પણ માનવજાતે ભૂતકાળમાં સાબિત કરી જ છે. આ આફતને ય આપણે અવસરમાં પલટી શકીએ, જો મક્કમ નિર્ધાર કરીને મજબૂતીથી આગળ વધીએ તો.

ખાસ કરીને ભારતીય અર્થતંત્ર કઇ રીતે આ પડકારને પહોંચી વળે એમ છે અને કઇ રીતે આપણે એમાંથી વધારે શક્તિશાળી બનીને બહાર નીકળી શકીએ એમ છીએ? રાજ્યસભાના સભ્ય અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિમલ નથવાણી લખે છે કે… 

—————————————————————

ખી દુનિયા આજે કોરોનાના કોરડા ખાઈ રહી છે. અમેરિકા અને યુરોપ જેવા વિકસિત સમાજને આ મહામારીએ પાંગળું કરી દીધું છે. તે સંજોગોમાં ભારત જે મક્કમતાથી કોરોનાના પડકાર સામે લડત આપી રહ્યું છે તેનો દાખલો બીજા દેશો પણ આપી રહ્યા છે. કોરોનાને કારણે સમગ્ર વિશ્વ એક ભયંકર આર્થિક મંદી અને રાજકીય ઉથલ પાથલ તરફ સરકી રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે. કોરોનાથી ઓઠાંમાં ઓછા લોકોના જીવ જાય, ઓછામાં ઓછા લોકોને તેનો ચેપ લાગે, વધુમાં વધુ લોકોની સારવાર થાય અને કોરોનાના દર્દીઓ ઝડપભેર સાજા-નરવા થાય તે પ્રાથમિકતા સરકારોની હોય તે સ્વાભાવિક છે. તે છે તેમાં કાંઈ ખોટું નથી અને સરકારની કાર્યવાહીમાં તે ઝળકે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

રિલાયન્સના સ્થાપક-અધ્યક્ષ ધીરુભાઈ અંબાણી અવાર-નવાર ‘એડવર્સિટી’ ને ‘ઓપોર્ચ્યુનિટી’માં બદલવાની શીખ આપતા! પ્રતિકૂળતામાંથી તક ઝડપવી, પ્રતિકૂળતાને અનુકૂળતામાં બદલવી તે રિલાયન્સના મેનેજમેન્ટ મંત્રોમાં મોખરે છે. ધીરુભાઈ અને મૂકેશભાઈ અંબાણીએ અવારનવાર તે સિદ્ધ કર્યું છે તે પણ હકીકત છે. પરંતુ આપણે કોરોનાના પડકાર અને પ્રતિકૂળતાની વાત કરતા હતા.

કોરોનાનો ફટકો સમગ્ર જગતના અર્થતંત્ર પર પડશે. 3 ટ્રિલિયન ડોલરના ભારતીય અર્થતંત્ર પર લગભગ 1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડશે અને આપણો જી.ડી.પી. ઘટીને 1.9 ટકા કે 1.6 ટકા થઇ જશે તેવું નિષ્ણાંતો માને છે. જોકે કોરોના મહામારી આવી તે અગાઉથી અર્થતંત્ર નબળું તો પડી જ રહ્યું હતું. કોરોના મહામારી એ પડતા અર્થતંત્ર પર પાટુ કહી શકાય. પરંતુ જયારે માનવજીવન બચાવવાની ઘડી હોય ત્યારે અર્થતંત્ર ગૌણ બને તે સ્વાભાવિક છે. જોકે ભારતીય અર્થતંત્ર અને રાજતંત્ર બુનિયાદી રીતે એટલાં સક્ષમ છે કે તે આવા આઘાતો ઝીલીને તેમાંથી ઝપાટાભેર બહાર નીકળી શકે છે!

કોરોનાને લીધે પાશ્ચાત્ય દેશોનાં અર્થતંત્રોને જેટલા જોરદાર ઝટકા વાગ્યા છે તેટલા ભારત, ઇન્ડોનેશિયા જેવા દેશોને નથી વાગ્યા. કોરોનાને લીધે ચીન વિરુદ્ધ વૈશ્વિક મત ધીમે-ધીમે જોર પકડી રહ્યો છે. તેનો લાભ ભારતને મળી શકે તેમ છે. ‘મેક ઈન ઇન્ડિયા’ કે ‘ડીજીટલ ઇન્ડિયા’ જેવી નીતિઓમાં વધુ સુધારા કરી,’ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને વધુ આકર્ષક બનાવી શકાય. તેથી વૈશ્વિક મૂડીનો પ્રવાહ ભારત તરફ વાળી શકાય અને ભારત વૈશ્વિક મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર બની શકે. અમેરિકા અને જાપાનની ઘણી કંપનીઓએ ચીનમાંથી ખસી જવા મન બનાવી લીધું છે અને તે દેશોની સરકારો પણ તે માટે તેમની કંપનીઓને ચીનમાંથી નીકળવા પ્રોત્સાહનો જાહેર કરવા માંડ્યા છે ત્યારે આ પ્રકારની તક કેવી રીતે ઝડપી લેવી તે નક્કી કરવાનું કામ સરકારનું છે. તાજેતરમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનનું ઉત્પાદન અને જગતના દેશોમાં તેની નિકાસ માટે ભારત સરકારે લીધેલાં પગલાં આ દિશામાં એક મોટી પહેલ છે. ફેસબુકનો જિયો સાથે 5.7 અબજ ડોલર (રૂ. 43,574 કરોડ)નો સોદો પણ ભારતીય અર્થતંત્ર અને ડિજિટલ વ્યવસાયને એક નવી દિશા ચીંધતું પગલું છે. તેને લીધે ભારતીય શેરબજારમાં 743 પોઇન્ટના ઉછાળા સાથે જે સુધારો નોંધાયો તેણે અર્થતંત્રને ચેતનવંતુ કરવામાં મોટો ફાળો આપ્યો છે તેમ કહી શકાય!

દેશની સરકાર તથા મોટી ઓઇલ કંપનીઓ માટે ક્રૂડ ઓઇલ ખરીદવાની ‘ને તેના સોદા કરવાની એક મોટી તક કોરોનાએ આપી છે. જો કે આ સંજોગોમાં નાણાંની તંગી પણ છે જ! છતાંય દેશની સ્ટોરેજ કેપેસિટી જેટલું ઓઇલ ખરીદી લેવાય અને વર્તમાન ભાવે સોદા પાડી શકાય તો તે જરૂરી એટલા માટે છે કે હાલ ક્રૂડ ઓઇલના ભાવ છેલ્લાં વીસ વર્ષમાં જેટલા નથી ઘટ્યા તેટલા ઘટ્યા છે. એક વાર અર્થતંત્ર ગતિ પકડશે પછી નજીકના ભવિષ્યમાં આટલા નજીવા ભાવે ક્રૂડ મળે તેમ લાગતું નથી.

ભારત કોરોના મહામારીના ખરાબમાં ખરાબ તબક્કામાંથી તો ઉગરી ગયું છે. પરંતુ હજી તેણે સતર્ક રહેવું જોઈશે કારણ કે જો વાઇરસ ફરી ઉથલો મારે તો, જેની શક્યતા નકારી શકાય નહિ, તો બીજા વધુ લોકડાઉનમાંથી ગુજરવું પડે! ધંધા-રોજગાર અને ઉદ્યોગ-વ્યવસાયે તે મુજબનાં આયોજનો કરવાં પડે!

કોરોનાને પગલે ડિજીટલ અર્થતંત્રમાં ઉછાળાની શક્યતા પણ નિષ્ણાતો જોઈ રહ્યા છે. ઘેર બેસીને કામ કરવું, ઘેર જ શિક્ષણના વર્ગો, ઘરમાં જ મનોરંજન, નેટ બેન્કિંગ, ઇ-કોમર્સ, ઇ-રિટેલ વિગેરેનો ઉપયોગ વધે. આ બધાને લીધે મોંઘીદાટ ઓફિસો, તેમાં ઇન્ટિરિયર વિગેરે ખર્ચા, ફેન્સી કાર, સરપ્લસ કર્મચારીઓ વિગેરેને લગતા ખર્ચા ઘટે અથવા ઘટાડવા પડે અને ડિજીટલ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવું પડે!

સરકારે સામૂહિક સ્વાસ્થ્ય અને સામુદાયિક કલ્યાણ પર પણ વધુ ભાર મૂકવો પડશે કારણ કે કોરોનાને લીધે અર્થતંત્ર ઉપર પડનારા ભારે ફટકાને લીધે ગરીબ અને તવંગર વચ્ચેની ખાઈ તો વધુ પહોળી થશે. એટલું જ નહીં, અર્થતંત્રના નિષ્ણાતોને ભય છે કે લગભગ વીસેક કરોડ લોકો ગરીબીમાં ધકેલાઈ જઈ શકે!

વધુ ચલણી નોટો છાપવી તે એક ઉપાય જરૂર છે પરંતુ આર્થિક રીતે સક્ષમ, મજબૂત અને પૈસાદાર દેશોને તેમ કરવું પોસાય! ભારત જેવા દેશ માટે આવું પગલું ફૂગાવાને આમંત્રણ આપનારું નીવડે જે કોઈ કાળે પરવડી શકે નહિ ! વધુ વિદેશી મૂડી રોકાણ એ જ આગળ જણાવ્યું તેમ આ સ્થિતિનો એક ઉકેલ છે. સરકારે બને તેટલી મૂડી ભારતમાં આવે તેવા પ્રયાસો કરવા જોઈએ અને તે માટેના આર્થિક સુધારા કરવા જોઈએ.

(પરિમલ નથવાણી)

વળી ભારતીય નિકાસકારોએ નિકાસ વ્યવસાયમાં એક પ્રકારની વિશ્વસનીયતા ઊભી કરવી રહે, જે બાંગ્લાદેશે કર્યું છે. ખોટાં વચનો ન આપવાં, જે વચનો આપ્યાં હોય તેનું પાલન કરવું, ગુણવત્તા ખાતરીબંધ હોય, સમયસર માલનો સપ્લાય થાય વગેરે જેવી નાની નાની બાબતો આવી વિશ્વસનીયતા ઊભી કરવામાં ખૂબ ઉપયોગી નીવડે. સરકાર અને સંબંધિત સરકારી વિભાગો પણ આમાં પોતાની સક્રિય ભૂમિકા ભજવી શકે.

કોરોના મહામારીને લીધે વર્ષ 2020માં વૈશ્વિક અર્થતંત્રમાં એક ટકાનો ઘટાડો થાય તેવું સંયુક્ત રાષ્ટ્રસંઘનું અનુમાન છે. સરકારો જો લોકોની આવક વધારવામાં મદદગાર સાબિત ન થાય અને ઉપભોક્તા ખર્ચને પ્રોત્સાહન ન આપે તો આ ઘટાડો વધી પણ શકે. કોરોનાના જનક ચીન તથા જી-7 સમૃદ્ધ દેશોનાં અર્થતંત્રોમાં પણ 1.2 ટકાનો ઘટાડો નિષ્ણાતો જોઈ રહ્યા છે. આ સંજોગોમાં ભારતીય અર્થતંત્રનું ભાવિ ઉજ્જવળ છે તેની પ્રતીતિ તાજેતરમાં મેકેન્સી નામની સંસ્થાએ વૈશ્વિક ઉદ્યમીઓના કરેલા એક સર્વેક્ષણમાંથી થાય છે. તે સર્વે મુજબ 53 ટકા ભારતીય ઉદ્યમીઓ ખૂબ આશાવાદી છે જ્યારે જાપાનમાં માત્ર 25 ટકા ઉદ્યમીઓ જ અર્થતંત્ર માટે આશાવાદી હતા!