સપના અવસ્થીએ લગ્ન કર્યા પછી ગાયિકા તરીકે કારકિર્દી શરૂ કરી હતી. સપનાએ પહેલું ગીત ‘દુશ્મની’ નું ‘બન્નો તેરી અંખિયાં’ (1995) ગાયું હતું પણ એ મોડું બહાર આવ્યું હતું. સપનાને મળેલા દરેક ગીત પાછળ રસપ્રદ વાત જોડાયેલી રહી છે. બાળપણથી જ ગાયનના શોખને લીધે રેડિયો પર ગીતો સાંભળતા હતા અને ગાવાની શરૂઆત રેડિયોથી જ કરી હતી. લગ્ન પછી સપના 1988 માં લખનઉથી મુંબઇ આવ્યા ત્યારે પતિ કાર્તિક અવસ્થીને સંગીતકાર સમીર ટંડનના મામાને ત્યાં જાહેરાતમાં કોપીરાઇટ કરવાનું લખવાનું કામ મળ્યું હતું. સપનાને એક વર્ષ બાદ ગુલઝાર બનાવતા હતા એ સિરિયલ ‘મિર્ઝા ગાલિબ’ માં એક ગીત ગાવાની તક મળી હતી.
અલ્હાબાદના મિત્ર મીરાજ ગુલઝારના મુખ્ય સહાયક હતા અને એમણે મુલાકાત કરાવી ત્યારે સપના પાસે કોઈ લોકગીત હોય તો સંભળાવવા કહ્યું હતું. સપનાએ એક ગીત ગાયું અને એને સિરિયલમાં રાખી લેવામાં આવ્યું હતું. એના નિર્માતાએ સપનાના અવાજમાં ‘ટી સીરીઝ’ મારફત દસ ગીતોનું એક પ્રાઈવેટ આલબમ ‘ઉત્તરપ્રદેશ કે શાદી ગીત’ પણ બહાર પાડ્યું હતું. વળી એક વર્ષ બાદ એ આલબમના સંગીતકાર રાજેશ શર્માએ સંગીતકાર મિલિન્દના લગ્ન પ્રસંગના એક કાર્યક્રમમાં ગાવાનું આમંત્રણ આપ્યું. ત્યારે એ કાર્યક્રમમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ આવી હતી.
ગીતકાર સમીરે સપનાના ગીતો અને અવાજની નોંધ લીધી હતી. એક દિવસ સમીરે ફોન કરીને કહ્યું કે નિર્દેશક શેખર કપૂરની ફિલ્મ ‘દુશ્મની’ માટે એક અલગ પ્રકારનું ગીત જોઈએ છે. તમારી પાસે હોય તો લઈને આવો. બીજા જ દિવસે સપનાના અવાજમાં ‘બન્નો તેરી અંખિયાં’ નું રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું. પણ ફિલ્મ બનવામાં ઘણા વર્ષ નીકળી ગયા. સપનાને બીજું ગીત સમીરે જ ‘ઈક્કા રાજા રાની’ (1994) માં ‘મેરે સાવરે સાંવરિયા’ અપાવ્યું હતું. જે પહેલું બહાર આવ્યું અને થોડું લોકપ્રિય થયું હતું. તેથી આઈટમ ગીત માટે એમનું નામ થવા લાગ્યું હતું.
બે વર્ષ પછી ‘બન્નો તેરી અંખિયાં’ આવ્યું ત્યારે સપના ગાયિકા તરીકે છવાઈ ગયા હતા. સપનાને ટિપ્સ, વીનસ જેવી સંગીત કંપનીઓના પ્રાઈવેટ ગીતોના આલબમમાં ગાવાની તક મળવા લાગી હતી. ‘દિલવાલો કે દિલ કા કરાર લૂંટને’ ગાઈને પણ ધૂમ મચાવી દીધી હતી. ‘રાજા હિન્દુસ્તાની’ (1996) નું ‘પરદેસી પરદેસી’ લોકપ્રિય થયા પછી ફિલ્મ ‘દિલ સે’ (1998) નું ‘છૈયાં છૈયાં’ ગીત ગાવાનો અનુભવ અલગ જ રહ્યો હતો. સપનાને જ્યારે આ ગીત ગાવા માટે ગીતકાર ગુલઝારની ભલામણથી બોલાવવામાં આવ્યા ત્યારે એને કોના પર ફિલ્માવવામાં આવશે કે એમાં ધૂન કેવી હશે એની પણ ખબર પડી ન હતી.
સંગીતકાર એ. આર. રહેમાને ધૂન વગર માત્ર ક્લીક પર જ સપનાને પોતાની રીતે ગાવાનું કહી ‘છૈયાં છૈયાં’ નું રેકોર્ડિંગ કરાવ્યું હતું. અને કહ્યું હતું કે જો યોગ્ય લાગશે તો રાખવામાં આવશે નહીંતર બીજા પાસે ગવડાવવામાં આવશે. છ મહિના પછી સુખવિંદર સિંહનો ફોન આવ્યો કે ‘છૈયાં છૈયાં’ ગીતનો પ્રોમો બની ગયો છે ત્યારે સપનાને નવાઈ લાગી હતી. ફિલ્મમાં લતા મંગેશકર, ઉદીત નારાયણ, ખુદ એ.આર. રહેમાન વગેરેએ ગીતો ગાયા હતા છતાં નવા ગણાતા સપના અને સુખવિંદરે જુસ્સાથી ગાયેલા ‘છૈયાં છૈયાં’ ની ધૂન એટલી સારી બની હતી કે એના આધારે ફિલ્મના સંગીતનો પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો.
