વાસ્તુ: શું ઈશાનમાં સવનનું વૃક્ષ વાવવાથી ફાયદો થાય?

જો યુદ્ધ થાય તો? આપણે એક સામાન્ય નાગરિક તરીકે યુદ્ધ માટે કેટલા તૈયાર છીએ? યુદ્ધની કથા જેટલી રમણીય હોય છે એટલું જ યુદ્ધ ભયાનક હોય છે. મહાભારતના યુદ્ધ પછીનો વિષાદ આપણે સહુ જાણીએ છીએ. જો અંધારપટ આવે તો નાઈટ લાઈફ છોડવા કેટલા તૈયાર થશે? જો વીજ કાપ આવે તો રીલ્સના બંધાણીઓ વિરોધ કરશે? જો મોંઘવારી વધશે તો લોકો આંદોલન તો નહિ કરે ને? વળી દેશની રક્ષા માટે સૈન્ય લડતું હશે ત્યારે કોઈક જગ્યાએ જાતિલક્ષી અથડામણો તો નહિ થાય ને? જે લોકો ધિરાણ કરીને બેઠા છે એ ક્યાંક ખંડણી લેવા લોકોને રંજાડશે તો નહિ ને? આવા ઘણા સવાલો ઉદ્ભવે ત્યારે એવું લાગે કે યુદ્ધ ન જ થવું જોઈએ. યુદ્ધની પહેલા યોગ્ય માનસિકતા ધરાવતા સમાજની જરૂર છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે દર્શાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: છેલ્લા કેટલાક સમયથી ચાલતી ઘણી બધી વાતું મને સમજાતી નથી. કદાચ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય તો આપણી પ્રજા કેટલી તૈયાર છે? ભારત આમ કરી નાખશે અને તેમ કરી નાખશે એવું કહીને ઠેકડા મારતા લોકો જરૂર પડે તો સરહદ પર જાશે? અરે, ભાઈ સરહદ છોડો, માનો કે પાકિસ્તાનની આર્મી દેશમાં આવી ગઈ તો રસ્તા પર ઉતરીને ઉક્રેનની પ્રજાની માફક આર્મીને રોકી શકશે? કે પછી કાયમની જેમ એક બીજાના વાંક કાઢીને છટકી જાશે?

આપણે જે વિમાનો ખરીદ્યા એ સાડા ત્રણ વરસે આવશે. આપણે જે પાણી રોક્યું એને રોકતા દસેક વરસ લાગશે. સરકારને જે કરવાનું છે એ કરશે જ. પણ એવું નથી લાગતું કે વાત વાતમાં રીલ્સ ફોરવર્ડ કરી કરીને લોકો પોતાનો કીમતી સમય બગાડી રહ્યા છે? જેને દેશ માટે કશુક કરવું છે એ રીલ્સમાં સમય નહિ બગાડે. આ દેશનું શું થાશે? એમાય કો એકાદ મિસાઈલ આવીને પડી તો કાગારોળ મચાવીને ધરણા કરવા ન બેસે તો સારું. વસ્તી વધારો ચીનમાં પણ હતો. પણ આવા નવરા લોકો ત્યાં નહોતા. ચીન સામે અમેરિકાએ ટાઢું પડી ગયું. ઓલાને પછાડો ને ઓલાને ઉપર નો આવવા દેતા કહેનારા લોકો યુદ્ધમાં આગળ ઉભવા તૈયાર થાશે?

જવાબ: વસ્તી વધારો એ આપણા દેશની ખુબ મોટી સમસ્યા છે. બીજી સમસ્યા છે જાતિવાદ. જ્ઞાતિ, પેટા જ્ઞાતિ, એમાં પાછા ગોળ અને એમાય ફાંટા. એ ફાંટામાં તિલક પ્રમાણે બદલાતી વિચારધારા. જે લોકો અન્યના ભગવાનને પણ નથી છોડતા એમને એક કરવા શક્ય નથી. આપની વાત સાચી છે, આપણી પ્રજાને ખબર જ નથી કે યુદ્ધ એટલે શું? ફિલ્મમાં નાયક પાકિસ્તાન જઈને હેન્ડપંપ ઉખાડે એટલે એની સેના ગભરાય એવું હકીકતમાં ન થાય. યુદ્ધની વેદના સૈનિક અને એના પરિવારને જ સમજાય. મોજશોખમાં પડેલો સમાજ યુદ્ધની કલ્પના કરી શકે. અને એ પણ ફિલ્મી. પોતાની સંસ્કૃતિ વિષે સાચી સમજણ ધરાવનારમાં દેશપ્રેમ જાગે. ડીપીમાં તિરંગા મુકવાથી ન આવે. દેશની આંતરિક બાબતોમાં જો સામાન્ય નાગરિક સજાગ રહે તો જ યુદ્ધ સફળ થાય. બાકી આપણો ઈતિહાસ “ઘરકા ભેદી” થી ભરાયેલો છે. વધારે પૈસા મળે એટલે સરકારી નોકરી કરવી છે અને પગાર સારો છે એટલે લશ્કરમાં જવું છે એવું કહેવાવાળા લોકો દેશ માટે કુરબાન થશે ખરા? આર્મી ગમે તેટલી તૈયાર હોય, દેશના લોકોએ પણ તૈયાર થવું જ પડે. આર્થિક મદદ ન આપીએ તો ચાલે. પણ માનસિક રીતે તો સજાગ રહેવું જ પડે.

સવાલ: ઈશાનમાં સવનનું વૃક્ષ વાવવાથી ફાયદો થાય એવુ કહીને અમારા ગુરુજીએ સવનનો છોડ આપ્યો છે તો એને ઈશાનમાં આવી શકાય?

જવાબ: ના. ઈશાનમાં વૃક્ષ વાવવાનો નિષેધ છે. જેમને શાસ્ત્રોનું જ્ઞાન નથી એવા લોકો જયારે ગુરુ તરીકે શાસ્ત્રના નામે કશું પણ કરવા લાગે ત્યારે એમનામાં ભરોસો રાખનાર વ્યક્તિ તકલીફમાં આવે છે. તમારા ગુરુ સારા કથાકાર છે. એમનો વાસ્તુનો અભ્યાસ ન પણ હોઈ શકે. એમણે વાસ્તુ આધારિત જ આપ્યું છે એવું ન માની લેવાય.

સુચન: ઈશાનમાં ઊંચા ઘટાદાર વૃક્ષો વાવવાથી ગંભીર સમસ્યા આવી શકે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)