વાસ્તુ: પ્લોટ ખરીદતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?

કોઈને ચાહવું અને કોઈને નિભાવવું એ બંને વચ્ચે ફર્ક માત્ર એટલો જ છે કે ચાહવામાં સામે વાળા સિવાય બીજો કોઈ વિચાર નથી આવતો અને નિભાવવામાં ઘણું વિચારવું પડે છે. જીવનમાં ક્યારેક સંજોગો એવા ઉભા થઇ જાય કે માત્ર નિભાવવામાં જ જીવન નીકળી જાય. પોતાના વિષે વિચારવાનો પણ વિચાર ન આવી શકે. શું ન વિચારીએ તો ન ચાલે? માત્ર ચાહીએ તો કેવું? પણ બધાને બધું જ ગમતું થોડું જ મળે છે? માણસ પોતાની જવાબદારીઓ નિભાવવામાં એવો ખોવાય જાય છે કે ક્યારેક તો કોઈ ચાહે તો પણ એને ડર લાગે કે એના માટે સમય આપવામાં મારી જવાબદારીઓ અટકી જશે તો? કોઈનો હાથ પકડીને સફર સહજ, સરળ પણ બની શકે ને?

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપના જીવનની કોઈ પણ સમસ્યાઓ આપ નીચે દર્શાવેલ ઈમેઈલ પર મોકલી શકો છો. એનું સમાધાન ચોક્કસ આપવા પ્રયત્ન કરીશું.

સવાલ: મારે પ્લોટ લેવો છે તો શું ધ્યાન રાખવું જોઈએ?

જવાબ: આપણે જયારે કોઈ પણ જમીન લેવાનો વિચાર કરીએ તો સર્વ પ્રથમ તો એ આપણી જરૂરિયાત પ્રમાણે છે કે નહિ એનો વિચાર કરીએ. જેમકે લોકેસન, કીમત, વિગેરે. આસપાસના લોકોની રહેણી કરણી, રોડ, ગટર લાઈન જેવી બાબતો પણ સમજીએ. જો આખી વાતને વાસ્તુના સંદર્ભમાં વિચારીએ તો જેમ દરેક માણસ અલગ હોય છે એ જ રીતે જમીન પણ અલગ હોય છે. માત્ર દિશાઓ, રંગ, રોડની દિશા કે આકાર ન જોવાય. આપણે જમીન ખરીદીએ ત્યારે જ એ ત્યાં આવી છે એવું તો છે નહિ. વરસોથી એ જમીન પર જે કાઈ થયું છે એની ઉર્જા એમાં સમાયેલી છે. જ્યાં સુધી એ ઉર્જાને સમજવામાં ન આવે ત્યાં સુધી ત્યાર બાદની બધી વસ્તુઓ અધુરી છે. તેથી જ કોઈ સામાન્ય નિયમો કે ઉપરછલ્લી બાબતોને ધ્યાનમાં રાખીને જમીન ન લેવાય.

સવાલ: મારા લગ્ન મારી જ્ઞાતિમાં થયા છે. મારી પત્ની બહુ કંકાશ કરે છે પણ સારું કમાય છે. લગ્ન પહેલા મને એક છોકરી ગમતી હતી. મારે એની સાથે રહેવું હતું. અંતે મેં પત્નીના પૈસા અને પ્રેયસીનો પ્રેમ બંને મળે એવો રસ્તો કાઢ્યો. દીકરાના ભણતરનું બહાનું કાઢીને પત્નીને અલગ મકાનમાં મોકલી આપી. મારી નોકરી એટલે દુર લઉં છુ કે એ ડરપોક મારી મદદ વિના એકલી ત્યાં આવી પણ ન શકે. બે ત્રણ મહીને એક વાર એને મળી આવું. એ જે કહે એમાં રસ લઉં. એવી સરસ એક્ટિંગ કરું કે એને એવું જ લાગે કે હું એનો જ છું. અમારી પડોસમાં એક બહેન એકલા રહે છે. એને પણ મારા માટે કુણી લાગણી છે. એ મારી પત્નીને સાચવી લે છે. એને ખાલી એકાદ વાર મળી લઉં એટલે એ માની લે છે કે હું ક્યારેક એમના તરફ ઝુકી જઈશ. બધું બરાબર ચાલતું હતું અને અચાનક મારી પ્રેયસીને ખબર પડી ગઈ કે કોઈ અન્ય પણ મારા જીવનમાં છે. હવે એ લગ્ન કરવા દબાણ લાવે છે. એ કાઈ કમાતી નથી. મારે લોનના હપ્તા બાકી છે. જો પત્નીને ખબર પડે તો? કોઈ એવો માર્ગ બતાવો કે બંને મારી સાથે રહે.

જવાલ: પત્ની એટલે લોનના હપ્તા ભરવા માટેની બેંક? લાગણીનું કાંઈજ નહિ? પ્રેમ કોઈની પણ સાથે થઇ જાય. પણ તમારી જાતને ન છેતરો. તમે પ્રેયસીને પણ વફાદાર નથી. સહુથી પહેલા તો તમે સાચે જ પ્રેમ કરો છો કે નહિ. માની લીધું કે પત્ની નથી સારી. તો એના પૈસાનો મોહ શા માટે? તમે જો સાચે જ પ્રેમ કરો છો તો પ્રેયસી જેવી છે એવી સ્વીકારી લો. આપ એ નહિ કરી શકો. કારણકે આપ પોતે અસમન્જસમાં છો. કોઈ પણ નિર્ણય લેતા પહેલા આપના બાળકનો પણ વિચાર કરજો. આપના ઘરમાં ઉત્તર અને પૂર્વના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક છે. તેથી આપણો સ્વભાવ સ્વાર્થી થઇ ગયો છે. જુવાની જતી રહેશે ત્યારે સાવ એકલા થઇ જશો. સવારે વહેલા ઉઠી પાણી પીવો. પત્નીને સાથે લઇ જાવ. એનાથી દીકરાને પણ સારું લાગશે.

સુચન: ઈશાનમાં ચોકડી રાખવાથી માનસિક તણાવ થઇ શકે છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)