કેટલાક માનસિક રોગીઓને ખબર જ નથી હોતી કે એ બીમાર છે. મજાની વાત એ છે કે એમની આસપાસના લોકોને પણ ખબર નથી હોતી કે એ બીમાર છે. સતત ભ્રમણામાં રહેતા લોકો પોતાને કોઈ મહાન વ્યક્તિની જગ્યાએ કે કોઈ મોટી પ્રતિષ્ઠિત જગ્યાએ વિચારે છે. અને પછી પોતાની આસપાસના લોકોને એ માનવા મજબુર કરે છે. આજના દેખાડાના જમાનામાં લોકો એવું માની પણ લે છે કે એ વ્યક્તિઓ સાચું બોલે છે. મોટા માણસોના કાર્યક્રમોમાં સ્ટેજની નીચે ઉભા રહીને સેલ્ફી લઈને માની લેવું કે એ વ્યક્તિ પોતાને ઓળખે છે. એ પણ બીમારી જ ગણાય. આવા લોકોને સન્માન નહિ પણ સારવારની જરૂર હોય છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે દર્શાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: અમારી સોસાયટીમાં બે માણસો રહે છે. જે પોતાની જાતને પ્રધાનમંત્રી અને નાયબ પ્રધાનમંત્રી માને છે. હું તો ફલાણા નેતાના છોકરાને મારે ત્યાં દારૂની પાર્ટીમાં બોલવું છુ. મારા એક અવાજે ભલભલા નેતાઓ ઝુકી પડે. એવા બણગા ફૂંક્યા કરે છે. જો કોઈ નેતાની સભા અમારી સોસાયટી પાસે થાય તો તરત જ જાણે પોતાની જ સભા હોય એવા ઉધામા લેવા માંડે. સોસાયટીમાં ખુલ્લી ગાડીમાં રોડ શો કરે. કપડા પણ એમના જેવા જ પહેરે. બધા નેતા એમને પૂછીને જ નિર્ણય લેતા હોય એવી વાર્તાઓ કરે. અને અમારા મુર્ખજનો એમની વાત માને પણ ખરા. વાહ, વાહ લખે એટલે પેલા લોકોને પ્રોત્સાહન મળે. કોઈ પૂછે કે તમે કયા દેશના વડાપ્રધાન છો? તો જવાબ આપવાના બદલે આંખ મારે.
સ્વતંત્રતા દિવસ પર ચોકીદાર પાસે પરેડ કરાવે અને ગાડીને શણગારીને ટેબ્લો બનાવરાવે. પછી લાંબા ભાષણો કરીને લોકોનું મગજ ખાઈ જાય. સાચી વ્યક્તિ બોલે તો લાગે કે બોલ્યાજ કરે. અને આ લોકો બોલે તો કાનમાં વાગે. મારી દ્રષ્ટીએ આને માનસિક રોગ જ કહેવાય. વળી કયા નેતા આવા લોકોને સલામ મારવા નવરા હોય? જો કોઈ ઓળખતું હોય તો એકાદ રાષ્ટ્રીય નેતાની ભલામણથી સોસાયટીને ફાયદો તો થાય જ. આવો સ્વભાવ કયા વાસ્તુ દોષથી થાય? એ એમની મેળે જ દવા કરાવવા જતા રહે એવો કોઈ ઉપાય ખરો?
હા, ગયા અઠવાડીએ કોર્પોરેશન દ્વારા પાલતું જાનવરોનું રજીસ્ટ્રેશન કરવા માટે નોટીસ આવી હતી. ત્યારે પણ મેં અપના કુત્તા નહિ દુંગા. અંગ્રેજો તુમ વાપિસ જાઓ જેવી બુમો પાડતા હતા.
જવાબ: આ એક માનસિક સમસ્યા છે. જેને delusion of grandeur કહે છે. જેમાં માણસ એવું માનવા લાગે છે કે એ જ સર્વેસર્વા છે. આવા લોકો સમાજ માટે હાનીકારક હોય છે. જોકે એની યોગ્ય સારવાર કરાવવામાં આવે તો એ સાજા થઇ શકે છે.
Hubris syndrome ધરાવતી વ્યક્તિઓને પણ આવી સમસ્યા થાય છે. વળી ક્યારેક LGBTQ plus વ્યક્તિઓને પણ પોતે કોઈ અલગ જીવ છે એવી ભાવના ઉભી થાય છે. જોકે આપણા દેશમાં આવી વ્યક્તિઓને માન્યતા મળી છે. પણ આવો વ્યવહાર સામાન્ય નથી.
બ્રહ્મનો વાસ્તુદોષ હોય ત્યારે વ્યક્તિને આવી સમસ્યા ઉદ્ભવે છે. આ સમસ્યાનું ઉદ્ભવસ્થાન જાણ્યા પછી એનું નિરાકરણ ચોક્કસ કાઢી શકાય. એના માટે કોઈ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સવાલ: અમારા ઘરમાં પૈસાની આવક અચાનક બંધ થઇ ગઈ છે. કોઈ પણ કામ થતા નથી. તો આના માટેનું નિવારણ આપશો.
જવાબ: જયારે કોઈ સાચી વ્યક્તિને દુખ પહોંચે ત્યારે આવું થઇ શકે. જે વ્યક્તિને અજાણતા પણ દુખ પહોંચ્યું હોય એની માફી માંગી લો. જો એ શક્ય ન બને તો કોઈ સાચા વિદ્વાન બ્રાહ્મણને ગમતી વસ્તુનું દાન આપો. અને એમની ક્ષમા માંગી લો.
સુચન: તમારી હાજરીમાં કોઈને દુખ પહોંચે એવો વ્યવહાર થાય અને તમે ચુપ રહો તો એ ક્રિયામાં તમે પણ ભાગીદાર ગણાવ. એની નકારાત્મકતા તમારા જીવનમાં પણ આવી શકે.
આપના સવાલ મોકલી આપો Email : vastunirmaan@gmail.com
