ઉનાળા માટે સ્વાસ્થ્યવર્ધક લાડુ

શિયાળામાં તો અનેક વસાણાં બનાવાય છે. પણ ઉનાળા માટે શરીરને ઠંડક આપતાં સ્વાસ્થ્યવર્ધક લાડુ પણ બને છે. વૈષ્ણવો લાલા (કાનુડા)ને પણ ઉનાળાના દિવસોમાં આ લાડુનો પ્રસાદ ધરાવે છે.

સામગ્રીઃ

  • ઘી 1 કપ, ઘઉંનો લોટ 1 કપ
  • ચણાનો લોટ ½ કપ
  • બારીક રવો ½ કપ
  • ખસખસ 2 ટે.સ્પૂન
  • મગજતરીના બી 2 ટે.સ્પૂન
  • કાજૂની કાતરી 2 ટે.સ્પૂન
  • પિસ્તાની કાતરી 2 ટે.સ્પૂન
  • એલચી પાવડર 1 ટે.સ્પૂન
  • દળેલી ખાંડ 1½ કપ

રીતઃ એક જાડા તળિયાવાળી કઢાઈને ગેસની ધીમી આંચ પર ગરમ કરવા મૂકો. તેમાં ઘી ગરમ કરીને ઘઉંનો લોટ તથા ચણાનો લોટ નાખીને શેકો. ગેસની ધીમી આંચે લગભગ 10 મિનિટ સુધી તવેથા અથવા ઝારા વડે લોટ શેકતા રહો. લોટનો રંગ થોડો બ્રાઉન થવા આવે ત્યારબાદ તેમાં રવો નાખીને શેકો, જરૂર લાગે તો તેમાં થોડું ઘી નાખવું. ફરીથી 10 મિનિટ ધીમા તાપે આ મિશ્રણ શેકવું. 10 મિનિટ બાદ ખસખસ નાખીને 2 મિનિટ માટે શેકો. ત્યારબાદ તેમાં કાજુ, પિસ્તાની કાતરી, મગજતરીના બી તથા એલચી પાવડર પણ મેળવી દો. હવે ગેસ બંદ કરીને આ મિશ્રણને નીચે ઉતારીને એક તાસમાં કાઢી લો.  હાથમાં લઈને લાડુ વાળી શકાય તેવું મિશ્રણ સહેજ ઠંડું થવા દો.

થોડા ઠંડા થયેલા મિશ્રણમાં બુરૂ ખાંડ અથવા દળેલી ખાંડ મિક્સ કરી લો અને તેમાંથી લાડુ વાળી લો.

આ લાડુ 1 થી 2 મહિના સુધી સારા રહે છે.