નિહકામી નિરમલ દશા, નિત ચરણો કી આશ, તીરથ ઇચ્છા તા કરે, કબ આવે વૈ દાસ. |
આપણે પુણ્ય મેળવવાની ભાવનાથી તીર્થયાત્રા, તીર્થસ્નાન અને દર્શન કરીએ છીએ. આ માન્યતા આપણી પરંપરાનો ભાગ છે. કબીરજી ખૂબ સિફતથી આ ભાવનાની બુનિયાદ પર એક નવી શક્યતાનું નિર્માણ કરે છે.
જે વ્યક્તિ કામનારહિત છે, જેનું ચિત્ત નિર્મલ છે, આચાર શુદ્ધ છે, ગુરુચરણોમાં રહી જ્ઞાન ઉપાર્જન કરવા સદાય તત્પર છે, આવો ભક્ત પ્રભુનો ખાસ છે. તેના સત્સંગથી સાચો માર્ગ જડે છે. ભવોભવના ફેરા ટળે છે.
કબીરજી કહે છે કે, સામાન્ય જનને તીરથ કરવાની અદમ્ય ઇચ્છા હોય છે પણ પ્રભુના દાસના ચરણોથી પાવન થવા તીરથ તલસે છે. આ રચનાથી કબીરજી ચીલાચાલુ માન્યતાઓનું ખંડન કર્યા વિના તેની નિરર્થકતા પ્રતિ અંગુલિનિર્દેશ કરે છે.
આજે તીર્થસ્થાનોમાં અસહૃા ભીડ જોવા મળે છે. લોકો બાધા-માનતા રાખી યાત્રા કરે છે. ઘણા ધાર્મિક સ્થળોએ સ્વચ્છતાનો અભાવ છે. યાત્રાળુના ઘસારા અને સ્પર્શથી અમરનાથનું શિવલિંગ ઓગળી જાય છે ત્યારે તનથી નહીં પણ મનથી તીરથ કરવાનો ઉપદેશ ઉપયોગી છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
