કબીરના મતે ભક્તિમાર્ગનો પાયો એટલે સતત હરિસ્મરણ

બરસ બરસ નહિ કરી શકે, તાકો લાગે દોષ,

કહૈ કબીર વા જીવસો, કબહુ ન પાવો મોષ.

 

કબીરજી સાધુનાં દર્શનનો મહિમા ભાવથી ગાય છે. નિત્ય વારંવાર દર્શનનો પ્રભાવ જણાવવાની સાથે સાથે અનેક વિકલ્પો દર્શાવે છે. ઘડી ઘડી નહીં તો દિવસમાં એક વખત, તે શક્ય ન હોય તો એકાંતરે અને તેમાં પણ તકલીફ જણાય તો અઠવાડિયે, પખવાડિયે, મહિને કે છ મહિને સાધુદર્શન માટે આગ્રહ કરે છે. કબીરજી જાણે છે કે, માણસને રોજબરોજની પળોજણ એટલી હોય છે કે સત્સંગમાં ધ્યાન આપી શકતા નથી.

પ્રમુખસ્વામીએ પરદેશમાં વસતા હરિભક્તોને સંકલ્પ કરાવ્યો કે, ભલે કરોડોનું નુકસાન થાય પણ સાપ્તાહિક સત્સંગ ન ચૂકવો. તેનો લાભ અમૂલ્ય માનવો. કબીરજી કહે છે કે, જો વર્ષોવર્ષ જીવ સાધુના પ્રભાવની બહાર રહે છે તો કદી મોક્ષ પામી શકે નહીં. ભક્તિમાર્ગનો પાયો જ એ છે કે, સતત હરિસ્મરણ વિના માણસ દુનિયાની માયામાં લપેટાઈ જાય છે. આનો અર્થ આળસ કે નિષ્ક્રિયતા નથી કરવાનો પણ કરતાં જઈએ આપણું કામ અને લેતાં જઈએ હરિનું નામ આ જ સાથે આવશે મુક્તિધામ.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)